નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ  રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવા માટે આજે દિલ્હીમાં ટોચના નેતાઓની એક બેઠક થઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે બનાવવામાં આવી રહેલા આ મહાગઠબંઠનની બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ બેઠક મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત અને સંસદના શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા થશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમાં બીએસપી પ્રમુખ માયાવતી અને અખિલેશ યાદવ સામેલ થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સિવાયના તમામ પક્ષોના નેતાઓને મળ્યું આમંત્રણ
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ આ બેઠકનો સમન્વય કરી રહ્યાં છે. તેમણે તમામ બિન ભાજપ પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું છે. એક સૂત્રએ જણાવ્યું કે બેઠકનો મુખ્ય એજન્ડા એક બિન ભાજપ મોરચો બનાવવા માટે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવાનો છે. 


રાહુલ ગાંધી અને મુલાયમ સિંહ પણ સામેલ થઈ શકે છે
એવી અટકળો થઈ રહી છે કે આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએના અધ્યત્ર સોનિયા ગાંધી પણ ભાગ લેશે. અત્રે જણાવવાનું આ બેઠકમાં સામેલ થવાની જાહેરાત સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પણ કરી છે. આ બેઠક દરમિયાન વિપક્ષની સંસદના શિયાળુ સત્ર માટે એક સયુંક્ત રણનીતિ બને તેવી આશા છે. સૂત્રોએ જણાવ્યું કે સંસદ ભવન સૌંધમાં થનારી બેઠક દરમિયાન વિપક્ષી દળ સરકારી બિલ અને રાફેલ ડીલ તથા ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પરના પોતાના વલણ ઉપર પણ ચર્ચા કરી શકે છે. 


કેરળ, પંજાબ અને પુડ્ડુચેરીના સીએમ થશે સામેલ
તેમણે જણાવ્યું કે ભાજપ  સિવાયના પક્ષોના પ્રમુખો ઉપરાંત કેરળ, પંજાબ, અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓને પણ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એનસીપીના પ્રમુખ શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ એસ સુધાકર  રેડ્ડી પણ બેઠકમાં ભાગ લે તેવી આશા છે. 


ડીએમકે અને આપ સહિત એસપી પ્રમુખ અખિલેશ યાદવને પણ મળ્યું આમંત્રણ
ડીએમકેના અધ્યક્ષ એમકે સ્ટાલિન, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને એલજેડીના નેતા શરદ યાદવ બેઠકમાં ભાગમાં લઈ શકે છે. સપાના એક સૂત્રએ જણાવ્યું કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આ બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા છે પરંતુ જો કોઈ કારણસર તેઓ સામેલ ન થઈ શક્ય તો પાર્ટીના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ બેઠકમાં હાજર રહેશે. 


વિધાનસભા ચૂંટણીઓના કારણે ટળી હતી બેઠક
એનસીપી નેતા ડી પી ત્રિપાઠીએ જણાવ્યું કે મોંઘવારી, નોટબંધી, અને જીએસટીના દુષ્પ્રભાવ, બેરોજગારી વગેરે બેઠકના એજન્ડામાં રહેશે. આપ નેતાઓએ નાયડુ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પાર્ટીની ભાગીદારીની પુષ્ટિ પણ કરી. આ અગાઉ બેઠક 22 નવેમ્બરે કરવાની યોજના હતી પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કારણે તેને ટાળવામાં આવી હતી.  


(ઈનપુટ-ભાષામાંથી)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...