મદુરાઈમાં એન્જિનીયરે એવા કારણોસર કરી આત્મહત્યા કે જાણીને નહીં થાય વિશ્વાસ
પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૃતકને સ્કિનની સમસ્યા હતી
મદુરાઈ : મદુરાઈમાં 27 વર્ષના એન્જિનિયરે વાળ ખરવાની સમસ્યાથી અપસેટ થઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ આર મિથુન રાજ તરીકે થઈ છે. તે જયહિંદપુરમનો રહેવાસી હતો. મિથુન બેંગ્લુરુની એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. પોલીસે આ ઘટનાની પ્રાથમિક માહિતી આપી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે મિથુનને સ્કિન પ્રોબ્લેમ હતો જેના કારણે તેના વાળ ખરી રહ્યા હતા. સારવાર માટે મિથુને અનેક દવાઓ લીધી હતી પણ તેના વાળની સમસ્યા ઓછી નહોતી થઈ. આ કારણોસર તેણે આત્મહત્યા કરી લીધી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચાર પ્રમાણે મૃતકે પોતાની કરિયરની શરૂઆત ચેન્નાઈની ઇન્ફોસીસ કંપનીથી કરી હતી. થોડા સમય પછી તેણે બેંગ્લુરુમાં એક આઇટી કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મૃતકના પિતા રવિનું મૃત્યુ થોડા સમય પહેલાં જ થઈ ગયું હતું જ્યારે તેની માતા વસંથી મદુરાઈના જયહિંદપુરમાં જ રહેતી હતી.
મિથુનની માતા તેના માટે વધૂની શોધ કરી રહી હતી પણ તે પોતાના ખરતા વાળની સમસ્યાથી ચિંતામાં હતો. તે પોતાની માતાને ઘણીવાર ચિંતાઓ વિશે જણાવતો હતો અને કહેતો હતો કે સમયની સાથે બધુ ઠીક થઈ જશે. રવિવારે મિથુનની માતા મંદિર ગઈ હતી પણ જ્યારે તે પરત આવી તો પોતાના દીકરાની લાશ પંખા સાથે લટકતી જોઈને તેને બહુ આંચકો લાગ્યો હતો. જયહિંદપુરમ પોલીસે વસંથીની ફરિયાદના આધારે આ કેસ રજિસ્ટર્ડ કરી લીધો હતો.