ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત એકવાર ફરીથી ચર્ચામાં છે. જેનું કારણ છે તેમનું એક નિવેદન. જેમાં તેમણે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર ફક્ત 15-20 દિવસમાં પડી જશે. સંજય રાઉત જ્યારે જ્યારે ચર્ચામાં રહે છે ત્યારે મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળે છે. પછી ભલે મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉદ્ધવનું ભાજપ સાથે નાતો તોડીને એનસીપી-કોંગ્રેસ સાથે આવવાનું હોય કે પછી જૂન 2022માં એકનાથ શિંદે દ્વારા તખ્તાપલટ... દર વખતે રાઉત તરફથી ખુબ નિવેદનબાજી જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સવાલ ઉઠે છે કે આખરે સંજય રાઉતે આવો દાવો કયા આધારે કર્યો. હકીકતમાં રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિંદે-ફડવીસ સરકારનું ડેથ વોરંટ જાહેર થઈ ચૂક્યું છે. ફક્ત તારીખ જાહેર થવાની બાકી છે. મે પહેલા જ કહ્યું હતું કે શિંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે પરંતુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવામાં વાર લાગવાના કારણે આ સરકારની લાઈફ લાઈન વધી ગઈ. આ સરકાર આગામી 15-20 દિવસમાં પડી જશે. 


એટલે કે રાઉત અને ઉદ્ધવ જૂથને સુપ્રીમ કોર્ટથી આશા છે. સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 જજોની બેન્ચે તાજેતરમાં ઉદ્ધવ અને શિંદે જૂથો તથા રાજ્યપાલ ઓફિસની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આ નિર્ણય સાથે જ એ સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્રમાં રાજકીય પાસું કઈ બાજુ કરવટ લેશે. ભલે શિંદે જૂથે રાઉતને ફેક જ્યોતિષ જાહેર કર્યા હોય પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્ણય એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યોનું પણ ભવિષ્ય નક્કી કરશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય અનિશ્ચિતતાનો પણ અંત આવશે. 


સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આ સવાલોનો મળશે જવાબ...


1. શું શિંદેએ રાજીનામું આપવું પડશે, ઉદ્ધવ ઠાકરે સીએમ તરીકે ફરીથી બહાલ થશે?
- જો સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના જૂન 2022ના તે આદેશને રદ કરે જેમાં ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું તો  આ શિંદે માટે મોટો ઝટકો સાબિત થશે. બની શકે કે તેમણે સીએમ પદેથી રાજીનામું આપવું પડે અને રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેના સીએમ તરીકે ફરીથી બહાલ થવાના ચાન્સ રહે. 


ઉદ્ધવ જૂથને અરુણાચલ પ્રદેશ પર સુપ્રીમ કોર્ટના 2016ના નિર્ણયથી આશા છે. સુપ્રીમમાં સુનાવણી દરમિયાન પણ આ કેસનો ઉલ્લેખ થયો હતો. વાત જાણે એમ છે કે ફેબ્રુઆરી 2016માં કાલિખો પુલ કોંગ્રેસમાંથી બગાવત કરીને ભાજપના સમર્થનથી અરુણચાલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ ચાર મહિના બાદ જુલાઈમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે પદેથી હટવું પડ્યું હતું. 


2. શું એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે અને રાજ્યમાં હાલની સ્થિતિ યથાવત રહેશે?
સુપ્રીમ કોર્ટ જો સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં રાજ્યપાલની ભૂમિકાને બરાબર ઠેરવે તો શિંદેના પક્ષમાં ચુકાદો આવી શકે છે. એટલે કે રાજ્યમાં હાલ જે રીતે સરકાર ચાલે છે તે રીતે ચાલતી રહેશે. 


આ પહેલા ચૂંટણી પંચથી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો મળ્યો હતો. પંચે શિંદે જૂથને જ  અસલ શિવસેના માનીને ધનુષ બાણ વાળું ચિન્હ તેમને આપ્યું હતું. આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર રોકલગાવવાની ના પાડી દીધી હતી. કોર્ટે તમામ પક્ષો પાસેથી તેમનો જવાબ માંગ્યો હતો. 


3. શું શિંદે જૂથના વિધાયક અયોગ્યતાનો સામનો કરશે?
શિંદે જૂથના વિધાયકોની અયોગ્યતા અંગે પણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. 


4. રાજ્યમાં ફરીથી ચૂંટણી થશે?
સુપ્રીમ કોર્ટ રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ પણ આપી શકે છે. 


ક્યાંથી શરૂ થઈ આ રાજકીય ઉથલપાથલ
મહારાષ્ટ્રમાં ગત વર્ષ જૂનમાં એકનાથ શિંદે જૂથે બળવો પોકાર્યો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે સરકાર પડી ગઈ હતી. શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે ભાજપના સમર્થનથી સરકાર બનાવી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક નેતા શિંદે જૂથમાં સામેલ થઈ ચૂક્યા છે. જ્યારે લાંબી ઉથલપાથલ બાદ શિવસેનાના નામ અને પાર્ટીના સિંબોલ ઉપર હકને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે તનાતની ચાલુ હતી. ચૂંટણી પંચે આ મુદ્દે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું પ્રતીક તીર કમાન સોંપી દીધુ હતું. 


કોંગ્રેસના મંત્રી ભૂલ્યા મર્યાદા, મહિલા સાથે કરી 'ગંદી' વાત, વાયરલ થયો અશ્લીલ વીડિયો


સમૂહ લગ્ન ટાણે ટેસ્ટમાં પ્રેગનન્ટ નીકળી કેટલીક દુલ્હનો, બધા સ્તબ્ધ


શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન


શું થયું હતું જૂન 2022 માં?


- 20 જૂન- એકનાથ શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે બળવો પોકાર્યો. 23 જૂનના રોજ શિંદેએ દાવો કર્યો કે તેમની પાસે 35 ધારાસભ્યોનું સમર્થન છે. 


- 25 જૂન- સ્પીકરે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની નોટિસ મોકલી. બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. 


- 26 જૂન- સુપ્રીમ કોર્ટમાંથી તમામ પક્ષો (શિવસેના, કેન્દ્ર, ડેપ્યુટી સ્પીકર) ને નોટિસ મોકલવામાં આવી. બળવાખોર ધારાસભ્યોને રાહત પણ મળી. 


- 28 જૂન- રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા જણાવ્યું. ઉદ્ધવ ઠાકરે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ગયા. 


- 29 જૂન- સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાની ના પાડી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. 


- 30 જૂન- એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા. 


- 3 જુલાઈ- વિધાનસભાના નવા સ્પીકરે શિંદે જૂથને સદનમાં માન્યતા આપી. બીજા દિવસ શિંદેએ વિશ્વાસ મત મેળવી લીધો. 


ઉલટફેર બાદ સુપ્રીમ પહોંચ્યા
જૂનમાં શરૂ થયેલી રાજકીય ઉથલપાથલ બાદ એક પછી એક સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી. જ્યાં શિંદે જૂથના 16 વિધાયકોએ સદસ્યતાને રદ કરવાના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, ત્યાં ઉદ્ધવ જૂથે ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર રાજ્યપાલના શિંદેને સીએમ બનાવવાના આમંત્રણ આપવા અને ફ્લોર ટેસ્ટ કરાવવાના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી. એટલું જ નહીં ઉદ્ધવ જૂથે શિંદે જૂથને વિધાનસભા અને લોકસભામાં માન્યતા આપવાના નિર્ણયને પણ પડકાર્યો છે. 


સુપ્રીમ કોર્ટમાં શું થયું?
સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન ઉદ્ધવ જૂથના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને તત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના જૂન 2022ના આદેશને રદ કરવાની ભલામણ કરી હતી. જેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહેવાયું હતું. સિબ્બલે કહ્યું કે જો આમ ન થયું તો લોકતંત્ર ખતરામાં પડશે. 


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કેવી રીતે બહાલ કરી શકે. જ્યારે સીએમએ શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દીધુ. 


રાજ્યપાલના નિર્ણય પર સવાલ
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાજયપાલે આ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં જ્યાં તેમની કાર્યવાહીથી એક વિશેષ પરિણામ નીકળે. સવાલ એ છે કે શું રાજ્યપાલ ફક્ત એટલા માટે સરકાર પાડી શકે કારણ કે કોઈ વિધાયકે કહ્યું કે તેમના જીવન અને સંપત્તિને જોખમ છે? શું વિશ્વાસનો મત બોલાવવા માટે કોઈ બંધારણીય સંકટ હતું? લોકતંત્રમાં આ એક દુખદ તસવીર છે. સુરક્ષા માટે ખતરો વિશ્વાસ મતનો આધાર બની શકે નહીં. તેમણે આ રીતે વિશ્વાસ મત નહતો બોલાવવો જોઈતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube