ટીવીથી ફિલ્મો સુધી મનોજ જોશીએ મેળવી જબરદસ્ત સફળતા, હવે પદ્મશ્રીથી સન્માનિત
મનોજ જોશીને દેશના ત્રીજા સૌથી મોટા એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે
નવી દિલ્હી : ગુજરાતના ગૌરવ અને સીનિયર એક્ટર મનોજ જોશીને રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મનોજ જોશીને 1990માં ભજવેલા ચાણક્યના પાત્ર માટે આજે પણ યાદ કરવામાં આવે છે. મનોજ લાંબા સમયથી થિયેટર સાથે જોડાયેલા છે.
હિન્દી ફિલ્મોમાં મનોજે અનેક યાદગાર ભુમિકાઓ ભજવી છે. તેમણે દેવદાસમાં શાહરૂખના મોટા ભાઇનું પાત્ર ભજવ્યુ છે જ્યારે ક્યોંકિ ફિલ્મમાં સલમાનની સાથે કામ કર્યુ છે. તેમણે ‘ગરમ મસાલા’, ‘ભાગમભાગ’ અને ‘હલચલ’ જેવી અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે. મનોજ જોશી ‘હલચલ’, ‘ભૂલ ભૂલૈયા’, ‘ફિર હેરાફેરી’ અને ‘ચુપચુપ કે’ જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે. તેમણે હોરર સિરિલ ‘વો’માં પણ કામ કર્યુ હતું. મનોજ જોશીને અસલ ઓળખ 2003માં આવેલી ફિલ્મ ‘હંગામા’થી મળી હતી અને તેઓ સતત અભિનયના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે.
તાજેતરમાં પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાને લઇને આપેલા નિવેદનના પગલે મનોજ જોશી ચર્ચાંમાં હતાં. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની કલાકારોનું જે થવાનું હશે તે થશે પરંતુ મારા માટે દેશ સૌથી ઉપર છે.
આ વર્ષે પદ્મ સન્માન માટે પસંદગી પામેલા 84 લોકોમાં બાકીના 41 વિશેષ નાગરિકાને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પૂર્વ કેપ્ટન ધોની અને અડવાણી ઉપરાંત 41 મહત્વપૂર્ણ લોકોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ પુરસ્કાર એનાયત કર્યો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સન્માન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહ સહિત અનેક હસ્તિઓ ઉપસ્થિત રહી હતી.
પદ્મશ્રી સન્માન મેળવનાર 37 હસ્તિઓમાં પૂર્વ ટેનિસ ખેલાડી સોમદેવ દવવર્મન, હર્બલ દવાઓ બનાવીને લોકોના જીવ બચાવનાર કેરલના આદિવાસી મહિલા લક્ષ્મીકૂટ્ટી પણ સામેલ હતાં. મધ્યપ્રદેશની આદિવાસી ચિત્રકારી લોકપ્રિય બનાવનાર ગોંડ ચિત્રકાર ભાજ્જૂ શ્યામને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.