ચેન્નઈઃ ઉત્તર ભારતમાં જ્યાં શિયાળો જામી ગયો છે, ત્યાં દક્ષિણ ભારતના કેટલાક ભાગો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. તમિલનાડુમાં સાર્વત્રિક વચ્ચે ચેન્નાઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદને કારણે શહેર પાણીને હવાલે છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલનાડુ અત્યારે ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. એક સપ્તાહ પહેલાં શરૂ થયેલો વરસાદ હજુ અટકવાનું નામ નથી લેતો. તેનું જ કારણ છે કે રસ્તા પાણીમાં ડૂબેલા છે. રહેણાંક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે. વરસાદ લોકોને રાહત આપવાનું નામ નથી લેતો. ચાર જિલ્લામાં શાળા અને કોલેજો બંધ કરવાની ફરજ પડી છે.


સૌથી ખરાબ હાલત ચેન્નાઈની છે. જ્યાં ઠેર ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તા પર વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે. રેલવે ટ્રેક પાણીમાં હોવાથી ટ્રેનો મોડી ચાલી રહી છે. 


આ પણ વાંચોઃ તેલંગણામાં KCR ને લાગી શકે છે મોટો ઝટકો, BRS ને ટક્કર આપી રહી છે કોંગ્રેસ


એકંદરે ચેન્નાઈ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ પર નજર રાખવા 15 IAS અને 16 હજાર કર્મચારીઓ તૈનાત કરાયા છે. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સલાહ અપાઈ છે. માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી અપાઈ છે.  કેમ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ સૌથી ખરાબ છે.


વરસાદનો કહેર હજુ અટકે તેમ નથી કેમ કે ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લામાં બીજી અને ત્રીજી ડિસેમ્બરે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, રાનીપેટ અને કાંચીપુરમમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે, જ્યારે તિરુવલ્લુરમાં શાળા અને કોલેજો બંને બંધ કરવાની સ્થિતિ આવી છે. ચેન્નાઈ, ચેંગલપેટ, અરક્કોણમ અને વિલ્લુપુરમ જિલ્લામાં NDRFની પાંચ ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે લોકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. 


આ પણ વાંચોઃ ખળભળાટ! પેપર લીક કેસમાં આજીવન કેદ અને 10 કરોડનો દંડ, આ રાજ્યે બનાવ્યો કડક કાયદો


મુસિબત આટલાથી અટકતી નથી. દક્ષિણ ભારત પર ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદમાન સાગર પર લો પ્રેશરના ક્ષેત્રનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે પહેલી ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાત મિચાંગનું નિર્માણ થશે. આ ચક્રવાતને કારણે 4 ડિસેમ્બર સુધી આંધ્ર પ્રદેશ, કેરળ અને પુડુચ્ચેરી સહિતના દક્ષિણના પ્રદેશોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ચક્રવાત તમિલનાડુની સ્થિતિ વધુ બગાડી શકે છે. 
એટલે કે દક્ષિણ ભારત માટે આગામી કેટલાક દિવસો ભારે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube