ભોપાલ: મધ્ય પ્રદેશના કાયદા મંત્રી પીસી શર્માએ મંગળવારે કહ્યું કે રાજ્ય સરકાર પૂર્વની ભાજપ સરકાર દ્વારા રાજકીય પક્ષો અને દલિત કાર્યકર્તાઓ વિરુદ્ધ જે પણ 'રાજકીય કેસો' દાખલ કરેલા હશે તેમને પાછા લેશે. આ જાહેરાત બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી દ્વારા નવી કોંગ્રેસ સરકારને જારી કરવામાં આવેલી ચેતવણીના ગણતરીના કલાકોમાં કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીએ પોતાની ચેતવણીમાં કહ્યું હતું કે જો તેઓ(કોંગ્રેસ) ગત વર્ષે દલિત સમૂહો દ્વારા બે એપ્રિલના આહ્વાન કરાયેલા ભારત બંધ દરમિયાન 'નિર્દોષ લોકો' વિરુદ્ધ કરાયેલા કેસો પાછા નહીં ખેંચે તો તેમની પાર્ટી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી શકે છે. 


શર્માએ કહ્યું કે અમે(કોંગ્રેસ) ભાજપ સરકાર વિરુદ્ધ લડાઈ લડી છે. ભાજપ સરકાર વિરુદ્ધ લડાઈ લડનારી કોઈ પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિ કે જેને ભાજપ સરકારે જેલમાં મોકલ્યા છે તે રાજકીય મામલાઓને પાછા ખેંચવામાં આવશે. 


માયાવતીએ સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે જો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની નવી આવેલી સરકારો તરત કોઈ કાર્યવાહી નહીં કરે અને કેસ પાછા નહીં ખેંચે તો બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ સરકારને બહારથી સમર્થન આપવા પર  પુર્નવિચાર કરી શકે છે. 


માયાવતીની એક ધમકી, રાજસ્થાન અને MPમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળ છવાયા!


ટ્રેડ યુનિયનના નેતાઓને રાહત
ગત સપ્તાહ શર્માએ સંકેત આપ્યા હતાં કે સરકાર ભાજપના શાસન દરમિયાન ગત 15 વર્ષ દરમિયાન રાજકીય અને ટ્રેડ યુનિયનના નેતાઓ વિરુદ્ધ લગાયેલા રાજકીય પ્રેરિત મામલાઓ પાછા ખેચવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. 


MP વિધાનસભાના આંકડા
મધ્ય પ્રદેશની 230 બેઠકોની વિધાનસભામાં 114 ધારાસભ્યો કોંગ્રેસના છે અને બસપાના બે ધારાસભ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ પાસે બહુમત કરતા બે સભ્યો ઓછી છે. સપાનો એક ધારાસભ્ય છે. તેણે પણ સરકારને બહારથી સમર્થન આપેલુ છે. આ ઉપરાંત ચાર અપક્ષ છે. 


રાજસ્થાન સરકાર પણ કેસ પાછા ખેંચશે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજ્ય સરકાર ગત વર્ષ 2 એપ્રિલના રોજ ભારત બંધ દરમિયાન દલિતો વિરુદ્ધ થયેલા કેસોની સમીક્ષા કર્યા બાદ તેને પાછા ખેંચશે. 


માંગણી યોગ્ય
તેમણે કહ્યું કે માયાવતીની માગણી યોગ્ય છે. ગત સરકારે અનેક લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતાં અને આથી અમારી સરકાર આવા તમામ કેસોની સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીને સમર્થન આપવા બદલ માયાવતીનો આભાર માનું છું. તેમણે પોતે કોંગ્રેસને સમર્થન આપવાની પહેલ કરી હતી. આથી હું તેમનો આભાર માનું છું.


રાજસ્થાન વિધાનસભાનું ગણિત
અત્રે જણાવવાનું કે રાજસ્થાનની 200 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના 99 ધારાસભ્ય છે. ચૂંટણી પૂર્વ સહયોગી રાષ્ટ્રીય લોક દળનો એક વિધાયક છે. આ ઉપરાંત બસપાના છ ધારાસભ્યો અને 13 અપક્ષો છે. 


શું છે મામલો?
કોંગ્રેસે એપ્રિલ 2018માં અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ અધિનિયમમાં ફેરફાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું સમર્થન કર્યું હતું. આ પરિવર્તન સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયું હતું. ત્યારબાદ સંસદમાં એક કાયદો પાસ કરીને તેને અમાન્ય કરી દેવાયો. 


(ઈનપુટ-આઈએએએસ)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...