નવી દિલ્હીઃ દેશમાં જુન મહિના સુધીના 10 મહિનાના ગાળામાં લગભગ 1.2 કરોડ રોજગાર અવસરોનું સર્જન થયું છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (સેન્ટ્રલ સ્ટેટસ્ટિક્સ ઓફિસ- સીએસઓ)ના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. સીએસઓનો આ રિપોર્ટ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ), કર્મચારી રાજ્ય વીમા યોજના (ઈએસઆઈસી) અને એનપીએસની પાસે આવેલા નવા સભ્યોની નોંધણી પર આધારિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર, 2017થી જુન, 2018 દરમિયાન ઈએસઆઈસીની આરોગ્ય વીમા યોજનામાં નિમણૂક આપતી રાજ્ય વીમા (ઈએસઆઈ) સાથે 1,19,66,126 નવા સભ્ય ઉમેરાયા છે. સૌથી વધુ સભ્યોનું નામાંકન આ વર્ષે મે મહિનામાં 12,18,395નું થયું છે. આ જ રીતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)માં 1,07,54,348 નવા સભ્યોની નોંધણી થઈ છે, જ્યારે 60,60,616 સભ્યોની સંખ્યા ઘટી પણ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન સરેરાશ 6,10,573 નવા સભ્યો રાષ્ટ્રીય પેન્શન વીમા યોજના (એનપીએસ) સાથે જોડાયા છે. 


સીએસઓએ રોજગાર પરિદૃશ્ય પર આ રિપોર્ટ સપ્ટેમ્બર, 2017થી જુન, 2018 સુધીના આંકડાને આધારે તૈયાર કર્યો છે. આ રિપોર્ટ સરકારી એજન્સીઓ (ઈપીએફઓ, ઈએસઆઈસી અને પીએફઆરડીએ) પાસે ઉપલબ્ધ વહિવટી રેકોર્ડ પર આધારિત છે. સીએસઓએ જણાવ્યું કે, આ રિપોર્ટ સંગઠિત ક્ષેત્રમાં રોજગાર સર્જનનાં વિવિધ પાસાઓની માહિતી આપે છે, પરંતુ તેને વ્યાપક રિપોર્ટ માની શકાય નહીં. 


ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીએ ઝી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દેશમાં રોજગારના આંકડા આપ્યા હતા. એ સમયે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે લગભગ 4-5 લાખ નોકરીઓ પેદા કરી રહ્યા છીએ. આથી એક કરોડ નોકરીઓ પેદા કરવા માટે કદાચ 20 લાખ રોજગાર પેદા કરવા પડશે. 



પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ એક વર્ષમાં લગભગ 70 લાખ લોકો ઈપીએફ સાથે જોડાયા છે. અમે મુદ્રા યોજના શરૂ કરી છે. જે કોઈ પોતાનો વ્યવસાય કરવા માગે છે તેને લોન આપવામાં આવે છે. 



10 કરોડ લોકોએ મુદ્રા યોજનાનો ફાયદો લીધો છે. આ યોજના અંતર્ગત 4 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે, તેમાંથી 3 કરોડ લોકો એવા છે, જેમણે પ્રથમ વખત લોન લીધી છે. શું આ લોકોને રોજગાર મળ્યો છે એવું ન કહી શકાય? આ બાબતે રાજકીય નિવેદનબાજી વધુ થઈ રહી છે. જો કોઈએ નવો ધંધો શરૂ કર્યો છે તો તેને તમે રોજગાર નહીં કહો?