નવી દિલ્હીઃ સંસદીય સત્રના અંતિમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, હું અહીં મારી સરકારની ઉપલબ્ધીઓ ગણાવા આવ્યો નથી. આજે સંસદનો અંતિમ દિવસ છે. દેશ આજે વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને વિશ્વની મીટ ભારત તરફ મંડાયેલી છે. મુલાયમ સિંહે મને વધુ કામ કરવાની શુભેચ્છા આપી છે અને બીજી વખત વડા પ્રધાન બનવાના આશિર્વાદ આપ્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2014માં કેટલાક અન્ય સાંસદોની જેમ હું પણ પ્રથમ વખત અહીં આવ્યો હતો. આ અગાઉ મેં સંસદની ગલીઓ ક્યારેય જોઈ ન હતી. અહીંના રસ્તા પણ હું જાણતો ન હતો. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને ભારતે હવે ડિજિટલ વર્લ્ડમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. 


30 વર્ષ પછી પૂર્ણ બહુમતની સરકાર બની હતી. 16મી લોકસભાના 8 સત્રમાં 100 ટકા કામ થયું છે અને અનેક મહત્વનાં નિર્ણયો લેવાયા છે.


રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોઈએ કહ્યું હતું કે હું બોલીશ તો ભૂકંપ આવશે. પરંતુ આ સરકારે પૂર્ણ બહુમત સાથે 5 વર્ષ પૂરા કર્યા છે અને આ 5 વર્ષમાં ક્યારેય ભૂકંપ આવ્યો નથી. સાથે જ રાહુલ ગાંધીએ સંસદમાં જે આંખ મારીને હાસ્યનું રેલો ફેલાવ્યો હતો અને પીએમ મોદીને ગળે લાગ્યા હતા તેની પણ ચર્ચા કરી હતી.  


મોદીએ જણાવ્યું કે, પ્રથમ વખત મને ગળે મળવું અને ગળ પડવા વચ્ચેનો ભેદ જાણવા મળ્યો છે. આ ગૃહમાં વિમાન પણ ઉડ્યા છે. 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ સાંસદોનો નામ સાથે ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ બધાએ સંસદના કાર્યમાં પોત-પોતાનું યોગદાન આપ્યું છે. ટીડીપીના સાંસદ જે જાત-જાતની વેશભૂષા ધારણ કરીને આવતા હતા તેમને પણ પીએમ મોદીએ યાદ કર્યા હતા. સાથે જ તેમણે સંસદીય લોકશાહીને જીવંત રાખવા અને ભારત દેશને વિશ્વમાં આગળ લઈ જવા માટે તમામ સાંસદોનો આભાર માન્યો હતો. 


પાંચ વર્ષના કાયકાળમાં લોકસભાએ બનાવેલા નવા કાયદા 


  • બાંગ્લાદેશ સાથેના જમીન વિવાદનો ઉકેલ લાવ્યો

  • જીએસટી બિલ પસાર કરવામાં આવ્યું 

  • આધાર બિલને આ સંસદમાં જ મંજૂરી આપવામાં આવી 

  • દેશમાં આર્થિક રીતે પછાત વર્ગને ફાયદો આપવા માટે 10 ટકા અનામત લાગુ કરવા માટે પૂર્ણ બહુમત સાથે બિલ પસાર કરાયું 

  • મહિલાઓને ગર્ભાવસ્થાની રજાઓમાં વધારો કરવામાં આવ્યો

  • બેનામી સંપત્તિને ટાંચમાં લેવાનો કાયદો બનાવ્યા

  • ભ્રષ્ટાચાર, કાળુ નાણું બહાર લાવવા માટે કાયદો બનાવ્યો 

  • ભાજપના કાર્યકાળમાં આ ગૃહમાં કુલ 203 બિલ પસાર કરવામાં આવ્યા

  • દેશમાં આ જ ગૃહે 1400થી વધુ કેટલાક ગુંચવાયેલા કાયદા નાબૂદ કરવાના પણ મહત્વનાં નિર્ણય લીધા છે


પાંચ વર્ષમાં વિદેશની અનેક સંસ્થાઓએ ભારતમાં વિશ્વાસ મુક્યો 


  • મેક ઈન ઈન્ડિયાના કારણે દેશના આત્મવિશ્વાસમાં વધારો થયો 

  • સુષમા સ્વરાજ અને મોદીના કારણે જ વિદેશમાં દેશની ખ્યાતિ મળી છે એવું નથી, દુનિયાએ વિશ્વાસ મુક્યો છે

  • ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ જેવી નીતિને કારણે દેશમાં વિદેશી રોકાણ વધ્યું છે અને વિશ્વમાં ભારતે પોતાનું નવું મુકામ બનાવ્યું છે.


16મી લોકસભામાં 44 મહિલા સાંસદો હતા અને મહિલા લોકસભા અધ્યક્ષના નેતૃત્વમાં સંસદે અત્યંત મહત્વનાં નિર્ણયો લીધા છે. લોકસભાના સ્પીકરે પણ અત્યંત મહત્વનાં નિર્ણયો લીધા છે. આ સાથે જ તેમણે ગૃહના તમામ સાંસદોનો આભાર માન્યો હતો.