Mann ki Baat: ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં `માનસ` એક મોટું પગલું, સમગ્ર દુનિયામાં છવાયેલો છે પેરિસ ઓલિમ્પિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો શો મન કી બાતના 112માં એપિસોડને સંબોધિત કર્યો. લોકસભા ચૂંટણી બાદ આ તેમનું બીજુ અને કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ થયા બાદ પહેલું સંબોધન હતું. તેમણે કહ્યું કે હાલ સમગ્ર દુનિયામાં પેરિસ ઓલિમ્પિક છવાયેલો છે. ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે, દેશ માટે ઘણું બધુ કરવાની તક આપે છે. તમે પણ આપણા ખેલાડીઓનો ઉત્સાહ વધારો, ચીયર ફોર ભારત.
પીએમ મોદીએ મેથ ઓલિમ્પિયાડ વિજેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા મેથ્સની દુનિયામાં પણ એક ઓલિમ્પિક થયો છે. ઈન્ટરનેશનલ મેથમેટિક્સ ઓલિમ્પિયાડ. આ ઓલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યા. તેમણે કહ્યું કે ઈન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવા સ્પર્ધકો ભાગ લે છે અને આપણી ટીમે ટોચના પાંચ દેશોમાં સફળતાપૂર્વક સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશનું નામ રોશન કરનારા આ વિદ્યાર્થીઓના નામ છે પુનાનો આદિત્ય વેંકટ ગણેશ, પુનાનો જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્હીનો અર્જૂન ગુપ્તા, ગ્રેટર નોઈડાનો કનવ તલવાર, મુંબઈના રૂશિલ માથુર અને ગુવાહાટીના આનંદ ભાદુરી.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ચરાઈદેઉ મેદામ
પીએમ મોદીએ અસમના ચરાઈદેઉ મેદાનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયાનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે આ લિસ્ટમાં તે ભારતની 43મી પરંતુ નોર્થઈસ્ટની પહેલી સાઈટ હશે. ચરાઈદેઉ અહોમ રાજવંશની પહેલી રાજધાની હતી. અહોમ રાજવંશના લોકો પોતાના પૂર્વજોના મૃતદેહ અને તેમની કિંમતી ચીજોને પરંપરાગત રીતે મેદામમાં રાખતા હતા.
પીએમ મોદીએ વધુ વાત કરતા કહ્યું કે મેદામ ટીલા જેવું એક માળખું હોય છે. જે ઉપરથી માટીથી ઢાકેલું હોય છે અને નીચે એક કે તેનાથી વધુ રૂમ હોય છે. આ મેદામ અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને ગણમાન્ય લોકો પ્રત્યે શ્રદ્ધાનું પ્રતિક છે. પોતાના પૂર્વજો પ્રત્યે સન્માન પ્રગટ કરવાનો એક અનોખો તરીકો છે. અહીં સામુદાયિક પૂજા પણ થતી હતી.
ઓગસ્ટ ક્રાંતિનો મહિનો
પીએમ મોદીએ કહ્યું કે 7 ઓગસ્ટે આપણે નેશનલ હેન્ડલુમ દિવસ ઉજવીશું. આજકાલ જે પ્રકારે હેન્ડલુમ ઉત્પાદનોએ લોકોના હ્રદયમાં જગ્યા બનાવી છે તે ખરેખર ખુબ સફળ છે, જબરદસ્ત છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ પણ એઆઈના માધ્યમથી હેન્ડલુમ ઉત્પાદનો અને સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપે છે. ખાદી ગ્રામોદ્યોગનો કારોબાર પહેલીવાર 1.5 લાખ કરોડ પાર કરી ગયો અને ખાદીનું વેચાણ 400 ટકા વધ્યું છે. ખાદી- હેન્ડલુમના આ વધથા વેચાણ મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો પણ સર્જી રહ્યા છે. આ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ મહિલાઓ જોડાયેલી છે તો સૌથી વધુ ફાયદો પણ તેમને થઈ રહ્યો છે. તમે જો હજુ સુધી ખાદીના વસ્ત્રો ન ખરીદ્યા હોય તો આ વર્ષથી શરૂ કરી દો. ઓગસ્ટનો મહિનો આવી ગયો છે, આ આઝાદી મળ્યાનો મહિનો છે, ક્રાંતિનો મહિનો છે, તેનાથી સારી તક બીજી કઈ હશે, ખાદી ખરીદવા માટે.
ડ્રગ્સ વિરુદ્ધ લડાઈ
પીએમ મોદીએ ડ્રગ્સની સમસ્યા વિશે પણ વાત કરી. તેમણે મન કી બાતમાં કહ્યું કે જો કોઈની પાસે ડ્રગ્સ સંબંધિત કોઈ પણ જાણકારી હોય તો તેઓ આ નંબર પર કોલ કરીને 'Narcotics Control Bureau' સાથે શેર કરી શકે છે. 'માનસ' સાથે શેર કરાયેલી દરેક જાણકારી ગોપનીય રાખવામાં આવે છે. ભારતને ડ્રગ્સ ફ્રી બનાવવમાં લાગેલા તમામ લોકો, તમામ પરિવારો, તમામ સંસ્થાઓને મારો આગ્રહ છે કે MANAS Helpline નો ભરપૂર ઉપયોગ કરો. સરકારે એક વિશેષ કેન્દ્ર ખોલ્યુ છે જેનું નામ છે 'માનસ'. ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં આ એક મોટું પગલું છે. થોડા દિવસ પહેલા જ માનસની હેલ્પલાઈન અને પોર્ટલ લોન્ચ કરાયા છે. સરકારે એક Toll Free Number '1933' બહાર પાડ્યો છે. તેના પર કોલ કરીને કોઈ પણ જરૂરી સલાહ લઈ શકે છે કે પછી રિહેબિલિટેશન સંલગ્ન જાણકારી લઈ શકે છે.