નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની બેંકોમાં આજે કામકાજ પ્રભાવિત થઈ શકે છે. વિજયા બેંક અને દેના બેંકના બેંક ઓફ બરોડામાં મર્જર કરવાના સરકારના વિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના યુનિયને આજે હડતાળનું આહ્વાન કર્યું છે. એક સપ્તાહથી પણ ઓછા સમયમાં આ બીજી બેંક હડતાળ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગયા શુક્રવારે (21 ડિસેમ્બર)ના રોજ પણ જાહેર ક્ષેત્રની બેન્કના કર્મચારીઓ દ્વારા બેન્કોના મર્જર અને તેમના પગાર ધોરણની પડતર સમસ્યાઓના તાત્કાલિક ઉકેલની માગણી સાથે હડતાળ પાડી હતી. જોકે, મોટાભાગની બેન્કોએ તેમના ગ્રાહકોને હડતાળ અંગે જાણ કરી દેવાઈ છે. આ દરમિયાન ખાનગી ક્ષેત્રની બેન્કો તેમનું કામકાજ ચાલુ રાખવાની છે. 


યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન, નવ યુનિયનોનું એક સંયુક્ત સંગઠન ઉપરાંત ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન, નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઈઝ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેન્ક વર્કર્સ દ્વારા આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનનો દાવો છે કે, તેમના સંગઠન સાથે 10 લાખથી વધુ બેન્કના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયેલા છે. 


ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટેચલમે જણાવ્યું કે, અધિક મુક્ય કામદાર કમિશનર સાથે આ અંગે બેઠક થઈ ચૂકી છે, પરંતુ તેમના તરફથી અમને કોઈ પણ પ્રકારની ખાતરી પૂરી પાડવામાં ન આવતા યુનિનય દ્વારા હડતાળ પર ઉતરવાની જાહેરાત કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેઠક દરમિયાન સરકાર કે સંબંધિત બેન્કના અધિકારીઓ દ્વારા એવી કોઈ ખાતરી આપવામાં આવી ન હતી કે તેઓ આ મર્જરની પ્રક્રિયામાં આગળ નહીં વધે. 


યુનિયનનો દાવો છે કે, સરકાર બેન્કોને મર્જ કરીને તેમની સાઈઝને મોટી કરવા માગે છે, પરંતુ જાહેર ક્ષેત્રની તમામ બેન્કોને પણ જો એકમાં મર્જ કરી દેવામાં આવે તો પણ તેમની કુલ મૂડી સાથે તેઓ વિશ્વની ટોચની 10 બેન્કોમાં સ્થાન નહીં મેળવે. 


ઉલ્લેખનીય છે કે, સરકારે સપ્ટેમ્બર મહિનામાં બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને મંજૂરી આપી દીધી હતી. આ પ્રથમ ઘટના છે જ્યારે ત્રણ જાહેર ક્ષેત્રની બેન્કોનું મર્જર કરીને એક બેન્ક બનાવવામાં આવનારી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...