નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરાઈ છે. અનેક સંગઠનો અને વ્યક્તિઓએ મૌલિક અધિકારો અને માનવાધિકારોનો હવાલો આપતા આ અરજીઓ દાખલ કરાઈ છે. આ બધાની એક સાથે સુનાવણી હાથ ધરતા પહેલી અરજી પર સુપ્રીમ કોર્ટે જામિયા મિલિયા ઈસ્લામિયાના કાયદાના વિદ્યાર્થી મોહમ્મદ અલીમ સૈયદને અનંતનાગમાં તેમના માતા પિતાને મળવાની મંજૂરી અપાઈ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને અલીમ સૈયદની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર બંધારણીય બેન્ચ ઓક્ટોબરમાં કરશે સુનાવણી


આ જ રીતે સુપ્રીમ કોર્ટે માકપા નેતા સીતારામ યેચુરીને પોતાની પાર્ટીના એક નેતા મોહમ્મદ યુસુફ તરંગિનીને મળવા માટે કાશ્મીર જવાની મંજૂરી આપી. હકીકતમાં સીતારામ યેચુરી તરફથી તેમના વકીલે કહ્યું કે હું મારી પાર્ટીના બીમાર પૂર્વ વિધાયકને મળી શક્યો નહીં. મને એરપોર્ટથી પાછો મોકલી દેવાયો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આદેશ આપીએ  છીએ કે તમે જાઓ. ફક્ત તમારા મિત્રને મળવા માટે, તેમના હાલચાલ જાણવા માટે, પછી પાછા આવી જાઓ. બીજી કોઈ ગતિવિધિ ન કરો. આ સાથે જ બાકીની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. મામલો સર્વોચ્ચ અદાલતે 5 જજની બંધારણીય બેન્ચને મોકલી દીધો છે. આ અંગે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી તેના પર સુનાવણી હાથ ધરાશે. 


જમ્મુ અને કાશ્મીરમાં મીડિયા પર લાગેલા પ્રતિબંધો અંગે પણ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. 7 દિવસમાં સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે. 


વાત જાણે એમ છે કે એક વકીલ તરફથી દાખલ કરાયેલી અરજીઓમાં કલમ 370 અને કલમ 35એને લઈને બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સરકાર આ પ્રકારે કામ કરીને દેશમાં પોતાનું ધાર્યું કરી રહી છે. રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે અને કેન્દ્રએ સંસદીય માર્ગ અપનાવવો જોઈએ. આ બાજુ કાશ્મીર ટાઈમ્સના એક્ઝીક્યુટીવ એડિટર અનુરાધા ભસીને પણ અરજી કરી છે. કલમ 370 સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવવાની માગણી કરાઈ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...