નવી દિલ્હી: કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દેશમાં લોકડાઉન લાગ્યું હોવાના કારણે વિભિન્ન ભાગોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવા માટે રાજ્યોએ ગુરુવારે તૈયારી શરૂ કરી દીધી છે. આ બાજુ દેશમાં સંક્રમણના 33,600થી વધુ કેસ સામે આવ્યાં છે. અને મૃતકોની સંખ્યા 1100 નજીક છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ -19ના દર્દીઓના સાજા થવાનો દર પણ પંદર દિવસ પહેલાના લગભગ 13 ટકા કરતા વધીને લગભગ 25.2 ટકા થઈ ગયો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો બીજો તબક્કો રવિવારે ખતમ થઈ રહ્યો છે. આવામાં લોકો આ લોકડાઉન આગળ વધશે કે પછી શું પગલું લેવાશે તે માટે સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. દેશમાં 25મી માર્ચથી લોકડાઉન લાગુ છે. પહેલા 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું હતું અને ત્યારબાદ તેને 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતકોની સંખ્યા 1075 થઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 1075 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1823 કેસ સામે આવ્યાં છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા 33610 થઈ છે જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા 8373 છે. 


વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ 72 દેશોના લગભગ 60,000 વિદેશી નાગરિકોને ભારતથી મોકલી દેવાયા છે અને વિદેશમાં ફસાયેલા ભારતીય લોકોને પાછા લાવવા અંગે પણ વિચાર થઈ રહ્યો છે. તામિલનાડુ, ઓડિશા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં સંક્રમણથી કેટલાક લોકોના મોત થયા છે. 


કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ દર હાલ 3.2 ટકા
કોવિડ 19ની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી હાલ મૃત્યુદર 3.2 ટકા છે. મૃતકોમાં 65 ટકા પુરુષો અને 35 ટકા મહિલાઓ છે. અધિકારીએ કહ્યું કે જો આપણે ઉંમરના આધારે સંખ્યાને વિભાજિત કરીએ તો મોતના 14 ટકા કેસમાં 45 વર્ષથી ઓછી આયુના છે, 34.8 ટકા કેસ 45-60 વર્ષના દર્દીઓ હતાં અને 51.2 ટકા કેસમાં દર્દીઓની ઉંમર 60 વર્ષથી વધુ હતી. 


અગ્રવાલે કહ્યું કે કોવિડ 19ના દર્દીઓના સાજા થવાનો દર છેલ્લા 14 દિવસમાં 13.06 ટકાથી વધીને 25 ટકા થયો છે. તેમણે કહ્યું કે દેશમાં કોવિડ 19નો ડબલિંગ દર 11 દિવસ થયો છે. જે લોકડાઉન શરૂ થયા પહેલા 3.4 ટકા હતો. 


રાજ્યોના પ્રયત્નો
આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશો બાદ લોકડાઉનના કારે ફસાયેલા પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા માટે અનેક રાજ્યોએ મહત્વની જાહેરાત કરી છે. કેટલાક રાજ્યો બીજા સ્થળોએથી કેટલાક પ્રવાસી મજૂરોને લાવી પણ ચૂક્યા છે. 


જુઓ LIVE TV



મધ્ય પ્રદેશની સરકારે કહ્યું કે લોકડાઉનના કારણે બીજા રાજ્યોમાં ફસાયેલા 2000થી વધુ મજૂરોને પાછા લવાયા છે. દેશના વિભિન્ન ભાગોમાં ફસાયેલા મજૂરોને પાછા લાવવા માટેની તૈયારીઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને પૃથક વાસ કેન્દ્ર, આશ્રય  સ્થળ અને સામુદાયિક રસોઈ  તૈયાર કરવાનું કહ્યું છે. 


મહારાષ્ટ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યોની અંદર ફસાયેલા લોકોને પહોંચાડવા માટે તમામ જિલ્લાધીશને નોડલ ઓથોરિટી નિયુક્ત કર્યા છે. નોડલ ઓથોરિટી પોત પોતાના જિલ્લામાં ફસાયેલા લોકોના નામ નોંધશે અને આ સૂચિ જિલ્લાધિશને સોંપાશે. ફસાયેલા લોકોના સમૂહે નોડલ ઓથોરિટી દ્વારા અપાયેલા પત્રની કોપી પોતાની પાસે રાખવી પડશે. 


ગુજરાત સરકારે ફસાયેલા લોકોને પહોંચાડવા માટે 16 બ્યુરોક્રેટને નોડલ અધિકારી નિયુક્ત કર્યા છે. કેરળ સરકારે પણ પોતાના ગૃહ રાજ્યોમાં પાછા ફરવા માટે ઈચ્છુક લોકો માટે નોન સ્ટોપ ટ્રેનો ચલાવવાની માગણી કરી છે. રાજ્યમાં 20000થી વધુ શિબિરોમાં 3.60 લોકો આશ્રિત છે. જેમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળ, આસામ, ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશના છે અને પોતાના ઘરે પાછા ફરવા માંગે છે. 


પંજાબના મુખ્યમંત્રીએ તમામ ઉપાયુક્તોને નિર્દેશ આપ્યા છે કે લોકડાઉનના કારણે રાજ્યમાં ફસાયેલા પ્રવાસી મજૂરોનો ડેટા તૈયાર કરો. તેમણે પીએમ મોદીને મજૂરોના પરિવહન માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવાનો આગ્રહ કર્યો છે. 


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ ફસાયેલા લોકોના પરિવહન માટે બસોનો ઉપયોગ થશે અને આ વાહનોને સંક્રમણમુક્ત બનાવવાના રહેશે. ગાડીઓમાં બેસવાની વ્યવસ્થા કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કડકાઈથી આ અંગે પાલન કરવું પડશે. 


કેન્દ્રીય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે સામાનની આપૂર્તિમાં લાગેલી ટ્રકોની આંતરરાજ્ય અરજવર માટે અલગથી કોઈ પાસની જરૂર નથી. મંત્રાલયે કહ્યું કે આવા ટ્રક ચાલકોના લાયસન્સ જ પૂરતા છે.