સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડી પાસે અરવિંદ કેજરીવાલની બરાબર લોકસભા ચૂંટણી પહેલા જ ધરપકડ એટલે કે ધરપકડના ટાઈમિંગ અને અન્ય કેટલાક સવાલોના જવાબ પણ માંગ્યા છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ખન્નાએ કહ્યું કે સ્વતંત્રતા ખુબ મહત્વની છે. તમે તેનાથી ઈન્કાર કરી શકો નહીં. ત્યારબાદ અંતમાં જસ્ટિસ ખન્નાએ ધરપકડના ટાઈમિંગ વિશે પૂછ્યું. હકીકતમાં કેજરીવાલ તરફથી કહેવાયું કે તેમની ધરપકડનો સમય સામાન્ય ચૂંટણીની બરાબર પહેલાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડીએ આપવાના છે આ સવાલોના જવાબ
સુપ્રીમ કોર્ટે ઈડી પાસે કેટલાક પ્રશ્નોના જવાબ માંગ્યા છે. ઈડીએ ધરપકડના ટાઈમિંગ સહિત એ સવાલનો પણ જવાબ આપવો પડશે કે શું કોઈ ન્યાયિક કાર્યવાહી ચાલુ છે, શું તમે અપરાધિક કાર્યવાહી શરૂ કરી શકો છો. જાણો એ સવાલો વિશે...જે સુપ્રીમ કોર્ટે ઈડીને પૂછ્યા છે. 


1. સામાન્ય ચૂંટણી પહેલા ધરપકડ શાં માટે?


2. શું ન્યાયિક કાર્યવાહી વગર અહીં જે પણ કઈ થયું છે તેના સંદર્ભમાં અપરાધિક કાર્યવાહી શરૂ કરી શકાય છે?


3. આ મામલે હજુ સુધી જપ્તીની કોઈ કાર્યવાહી થઈ નથી. જો થઈ હોય તો દેખાડો કે કેસમાં કેજરીવાલ કેવી રીતે સામેલ છે?


4. જ્યાં સુધી મનીષ સિસોદિયાની વાત છે તો તેમાં પક્ષ અને વિપક્ષમાં નિષ્કર્ષ છે. અમને જણાવો કે કેજરીવાલ મામલો ક્યાં છે? તેમનું માનવું છે કે કલમ 19ની મર્યાદા જે અભિયોજન પર જવાબદારી નાખે છે, આરોપી પર નહીં. આમ નિયમિત જામીનની માંગણી થતી નથી કારણ કે તેઓ કલમ 45નો સામનો કરી રહ્યા છે. જવાબદારી તેમના પર આવી ગઈ છે. 


5. હવે ઈડી જણાવે કે અમે તેની વ્યાખ્યા કેવી રીતે કરીએ? શું અમે મર્યાદાને બહુ ઊંચી જાળવીએ અને એ સુનિશ્ચિત કરીએ કે જે વ્યક્તિ દોષિત છે તેની ભાળ મેળવવા માટે ધોરણો સમાન હોય. 


6. કાર્યવાહી શરૂ થઈ તે અને પછી ધરપકડ વગેરેની કાર્યવાહી વચ્ચે આટલા સમયનો ગેપ કેમ?


ઈડી શુક્રવારે જવાબ દાખલ કરશે
ઈડીએ શુક્રવાર બપોરે જવાબ દાખલ કરવાનું કહ્યું છે. અત્રે જણાવવાનું કે આ મામલે આગામી સુનાવણી 3જી મેના રોજ થશે. 


કેજરીવાલના પક્ષમાં શું બોલ્યા સિંઘવી
કોર્ટમાં અરવિંદ કેજરીવાલ તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલો શરૂ કરી હતી. સુપ્રીમે પૂછ્યું કે શું કોઈ દસ્તાવેજ છે જેનાથી સ્પષ્ટ થઈ શકે કે કોના પર ભરોસો કરાયો, કોના પર નહીં. સિંઘવીએ કહ્યું કે તેવો કોઈ દસ્તાવેજ નથી. આ દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ સિંઘવીને કેટલાક સવાલો પૂછ્યા જેમ કે ગોવા ચૂંટણીની તારીખ શું છે, દારૂ નીતિ ક્યારે તૈયાર થઈ અને ક્યારે લાગૂ થઈ, સિંઘવીએ કહ્યું કે નીતિ લાગૂ થયાના એક વર્ષ પહેલા એટલે કે 2021માં તૈયાર થઈ. 


કેજરીવાલ ભાગી નહીં જાય...
અત્રે જણાવવાનું કે કોર્ટમાં સોમવારથી આ સુનાવણી ચાલુ છે. અભિષેક મનુ સિંઘવીએ એવી દલીલ આપી હતી કે ઈડીએ આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ કેજરીવાલની ધરપકડ કરી. કાં તો તેમની પાસે પૂરતા પુરાવા છે અથવા તો કોઈ એવો આધાર છે જેના વિશે અમે જાણતા નથી. જે નિવેદનોના આધારે કેજરીવાલની ધરપકડ થઈ તે 7 થી 8 મહિના જૂના છે. રાઘવ મગુંટાએ 4 નિવેદનો આપ્યા જે તમામ નિવેદનો પર ભરોસો કરી શકાય નહીં. જો ઈડીને એમ લાગતું હોય કે કેજરીવાલ મામલામાં દોષી છે તો તપાસ એજન્સીએ તેમને આટલો સમય ખુલ્લેઆમ ઘૂમવા કેમ દીધા. સપ્ટેમ્બર 2022માં કેસ સામે આવ્યો ત્યારે કોઈ કાર્યવાહી કેમ ન થઈ, અચાનક ધરપકડ કરાઈ. તેઓ કોઈ ખૂંખાર અપરાધી કે આતંકવાદી નથી જે ફ્લાઈટ પકડીને ભાગી જશે. 


જો કે જસ્ટિસ ખન્નાએ એવું પણ પૂછ્યું હતું કે ઈડીએ કેજરીવાલને 9 વખત સમન મોકલ્યા હતા. તેમણે દર વખતે કેમ ટાળ્યા? અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જ્યારે સીબીઆઈએ બોલાવ્યા ત્યારે ગયા. કેજરવાલે ઈડીની નોટિસનો પણ વિસ્તારથી જવાબ આપ્યો. પરંતુ ઈડી એ ન કરી શકે કે સમન મોકલ્યા તો આવ્યા નહીં એટલે અમે તમારી ધરપકડ કરી. ઈડી ઓફિસ ન જવું એ તેમનો અધિકાર છે. તેના પર અલગથી કેસ ચલાવવામાં આવી રહ્યો છે. આ ધરપકડનો આધાર કે કારણ હોઈ શકે નહીં. ઈડીએ ધરપકડ પહેલા પીએમએલએની કલમ 50 હેઠળ કેજરીવાલનું નિવેદન લીધું નથી. સંજય સિંહ કેસમાં પણ આવું જ થયું હતું. 


21 માર્ચથી જેલમાં બંધ છે કેજરીવાલ
અત્રે જણાવવાનું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ  ઈડીએ દિલ્હીની દારૂ નીતિ સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેઓ 1 એપ્રિલથી જેલમાં બંધ છે. 7 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. આ મામલે 9 એપ્રિલના રોજ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે સીએમની ધરપકડ ગેરકાયદેસર નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube