દેશને આજે નવું સંસદ ભવન મળી ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. વિધિ વિધાન સાથે પૂજા થયા બાદ લોકસભામાં સ્પીકરના આસન પાસે સેંગોલ પણ સ્થાપિત કરાયું. આ અવસરે પીએમ મોદીએ ભારતીય ટપાલ વિઘાનની સ્મારક ટિકિટ બહાર પાડી અને ત્યારબાદ ભારતીય નાણા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા 75 રૂપિયાના સિક્કાને પણ રિલીઝ કર્યો. પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં આજે સંબોધન પણ કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનું સંબોધન
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે દરેક દેશની વિકાસ યાત્રામાં કેટલાક  પળ એવા આવે છે જે હંમેશા માટે અમર થઈ જાય છે. કેટલીક તારીખો સમયના લલાટ પર ઈતિહાસના અમિટ હસ્તાક્ષર બની જાય છે. આજે 28મી મે 2023નો આ દિવસ આવો જ શુભ અવસર છે. દેશ આઝાદીના 75 વર્ષ થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં ભારતના લોકોએ પોતાના લોકતંત્રને સંસદના આ નવા ભવનની ભેટ આપી છે. આજે સવારે જ સંસદ પરિસરમાં સર્વપંથ પ્રાર્થના થઈ છે. હું તમામ દેશવાસીઓને ભારતીય લોકતંત્રના આ સ્વર્ણિમ ક્ષણની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. 


તેમણે કહ્યું કે આ નવું ભવન, આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે. આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે. વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધિ થતા જોશે. આ નવું ભવન નૂતન અને પૂરાતનના સહ-અસ્તિત્વનું પણ આદર્શ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત નવા લક્ષ્યાંક નક્કી કરી રહ્યું છે, નવા રસ્તા બનાવી રહ્યું છે. નવો જોશ છે, નવી ઉમંગ છે, નવી સફર છે નવી સોચ છે. દિશા નવી છે, દ્રષ્ટિ નવી છે. સંકલ્પ નવો છે. વિશ્વાસ નવો છે. 



ભારત લોકતંત્રની જનની
પીએમ મોદીએ કહ્યું કે ભારત એક લોકતાંત્રિક રાષ્ટ્ર જ નહીં પરંતુ લોકતંત્રની જનની પણ છે. મધર ઓફ ડેમોક્રેસી પણ છે. ભારત આજે વૈશ્વિક લોકતંત્રનો પણ ખુબ મોટો આધાર છે. લોકતંત્ર આપણા માટે ફક્ત એક વ્યવસ્થા નથી, એક સંસ્કાર છે, એક વિચાર છે, એક પરંપરા છે. 



25 વર્ષમાં ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાનું છે
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીનો આ અમૃતકાળ દેશને નવી દિશા આપનારો અમૃતકાળ છે. અનંત સપનાઓ, અસંખ્ય આકાંક્ષાઓને પૂરા કરવાનો અમૃતકાળ છે. ગુલામી બાદ આપણા ભારતે ઘણું બધુ ગુમાવીને પોતાની નવી યાત્રા શરૂ કરી હતી. તે યાત્રા કેટલા ઉતાર  ચઢાવથી પસાર થઈ,  કેટલા પડકારોને પાર કરી આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી છે. આઝાદીનો આ અમૃતકાળ વારસાને સંભાળતા, વિકાસને નવા આયામ આપવાનો અમૃતકાળ છે. આજથી 25 વર્ષ બાદ ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે. આપણી પાસે પણ 25 વર્ષનો અમૃતકાળ ખંડ છે. આ 25 વર્ષમાં આપણે મળીને  ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાનું છે.  


સેંગોલ આપણને પ્રેરણા આપશે
પીએમ મોદીએ કહ્યું કે આજે આ ઐતિહાસિક અવસર પર થોડીવાર પહેલા સંસદની નવી ઈમારતમાં પવિત્ર સેંગોલની પણ સ્થાપના થઈ છે. પીએમ મોદીએ  કહ્યું કે જ્યારે પણ આ સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થશે સેંગોલ આપણને બધાને પ્રેરણા આપતું રહેશે. તેમણે કહ્યું કે મહાન ચોલ સામ્રાજ્યમાં સેંગોલને કર્તવ્યપથના સેવાપથના રાષ્ટ્રપથનું પ્રતિક માનવામાં આવતું હતું. તેમણે કહ્યું કે રાજાદી અને આદીનમના સંતોના માર્ગદર્શનમાં આ સેંગોલ સત્તાના હસ્તાંતરણનું પ્રતિક હતું. 


સમયની માંગણી હતી નવી સંસદ
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા એક બે દાયકાથી નવી સંસદની જરૂરિયાત મહેસૂસ થઈ રહી હતી. નવી સંસદ સમયની માંગણી હતી. આવનારા સમયમાં સાંસદોની સંખ્યા વધશે. મને ખુશી છે કે ભવ્ય ઈમારત આધુનિક સુવિધાઓથી લેસ છે. આ સંસદમાં વારસો પણ છે અને વાસ્તુ પણ. પીએમએ કહ્યું કે પંચાયત ભવનથી લઈને સંસદ ભવન સુધી આપણી નિષ્ઠા એક જ છે. દેશમાં 30 હજારથી વધુ પંચાયત ભવન બનાવવામાં આવ્યા છે. 9 વર્ષમાં 50 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ સંસદ ભવને લગભગ 60 હજાર શ્રમિકોને રોજગારી આપવાનું કામ કર્યું છે. તેમણે આ ઈમારત માટે પોતાનો પરસેવો વહાવ્યો છે. તેમના શ્રમને સમર્પિત ડિજિટલ ગેલેરી બનાવવામાં આવી છે. સંસદના નિર્માણમાં તેમનું યોગદાન પણ અમર થઈ ગયું છે. 

રાષ્ટ્રપતિનો સંદેશ
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો સંદેશ વાંચ્યો. તેમણે કહ્યું કે એ વાતનો સંતોષ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. સંસદનું નવું ભવન નીતિઓના માધ્યમથી હાસિયામાં પડેલા લોકો સહિત તમામ દેશવાસીઓની જરૂરિયાતોનું સક્રિયતાથી સમાધાન સુનિશ્ચિત કરશે. આ લોકતંત્રનું પારણું છે. આપણો દેશ લોકતંત્રના વૈશ્વિક ફૈલાવના સંરક્ષણમાં સહાયક રહ્યો છે.  



શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ
નવા સંસદ ભવનમાં શોર્ટ મૂવી સંસદ કા નવ નિર્મિત ભવનનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ સેંગલ પર બનેલી શોર્ટ ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે. 


ભારતની યાત્રાની શરૂઆતનું પ્રતિક છે નવું સંસદ ભવન
દેશના નવા સંસદ ભવનના ઉદ્ધાટન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  કહ્યું કે પીએમ મોદીએ નવા સંસદને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ ભવન માત્ર એવું સ્થાન જ નથી કે જ્યાં લોકોની આશાઓ પૂરી થશે પરંતુ અમૃતકાળમાં દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાની દિશામાં ભારતની યાત્રાની શરૂઆતનું પ્રતિક પણ છે. 


રાજ્યસભાના ઉપસભાપતિએ કર્યું સ્વાગત, કહ્યું જીવંત લોકતંત્ર માટે ગર્વની પળ
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, લોકસભા અધ્યક્ષ સહિત તમામ અતિથિઓનું સ્વાગત કર્યું. આ અગાઉ પીએમ મોદી, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના ઉપસભાપતિની હાજરીમાં રાષ્ટ્રગાન ગવાયું. આ દરમિયાન હરિવંશ નારાયણે કહ્યું કે આ જીવંત લોકતંત્ર માટે ગર્વની ક્ષણ છે. નવું સંસદ ભવન વાસ્તુકળાનું ઉદાહરણ છે અને નવી સંસદમાં બેસવાની વધુ જગ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ખુબ જ આનંદની વાત છે કે પીએમ મોદીના નેતૃત્વમાં 2.5 વર્ષથી પણ ઓછા સમયમાં એક નવા આધુનિક સંસદનું નિર્માણ કરવામાં આવ્યું. 



લાગ્યા મોદી મોદીના નારા
પીએમ મોદી નવા સંસદ ભવનના ઉદ્ધાટનના બીજા તબક્કામાં પહોંચ્યા. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના ઉપસભાપતિએ તેમનું સ્વાગત કર્યા. તેમના પ્રવેશતા જ મોદી મોદીના નારા પણ લાગ્યા. આ અગાઉ પીએમ મોદીએ આજે નવા સંસદ ભવનના લોકાર્પણ બાદ ટ્વીટ કરીને કહ્યું કે આજનો દિવસ તમામ દેશવાસીઓ માટે અવિસ્મરણીય છે.  તેમણે ટ્વીટમાં વધુમાં કહ્યું કે સંસદનું નવું ભવન આપણા બધાને ગર્વ અને આશાઓથી ભરનારું છે. મને પૂરો વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય ઈમારત જન જનના સશક્તિકરણની સાથે જ રાષ્ટ્રની સમૃદ્ધિ અને સામર્થ્યને નવી ગતિ અને શક્તિ પ્રદાન કરશે.