પરેશ ગોસ્વામીએ 14 જિલ્લાઓને આપ્યું સુપર રેડ એલર્ટ! 36 થી 40 કલાકમાં બધું જળબંબાકાર થઈ જાય તેવી આગાહી

Tue, 27 Aug 2024-1:28 pm,

પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, રાજ્યમાં આગામી 36 થી 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે. સરકારી તંત્રને પણ અપીલ કરુ છું કે, એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો. આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, અને કચ્છના દરિયાઈ કાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે. આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય. કારણ કે, આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાંખે તેવો વરસાદ લાવશે.   

રાજ્યમાં વરસાદની સ્થિતી અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. 28 મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.

આજે ભારે વરસાદનું અલ્ટીમેટમ આવી ગયું છે. હવામાન વિભાગે ગઈકાલની જેમ આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ છે. હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ છે. બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. 

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૭૬ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૩ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૩૧ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૯૦,૫૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૦૭,૪૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૨.૭૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૩.૩૮ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૩.૮૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં ૨.૮૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૮૭ લાખની જાવક, ઉકાઈમાં ૨.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૬ લાખની જાવક, આજી-૪માં ૧.૬૩ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૬૩ લાખની જાવક, કડાણામાં ૧.૫૦ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૨૫ લાખની જાવક તેમજ ઉંડ-૧માં ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ સિવાય વિવિધ ૯૪ જળાશયોમાં ૭૦ હજાર ક્યુસેકથી ૧,૦૦૦ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.    

આ ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૬૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૧ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૭૮ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link