Pics: દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે આ દેશમાં, પરંતુ મોટાભાગના લોકો છે ભગવાન રામના ભક્ત
આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ આ સંપૂર્ણ સાચી વાત છે કે ઈન્ડોનેશિયાની મોટાભાગની વસ્તી રામ ભગવાનની ભક્ત છે અને તેમની પૂજા અર્ચના કરે છે. મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં ઈન્ડોનેશિયાના મોટાભાગના લોકોને ભગવાન રામમાં ખુબ આસ્થા છે અને ભગવાન રામને પોતાના નાયક માને છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દેશમાં 'રામાયણ'ને 'મહત્વપૂર્ણ ગ્રંથ' ગણવામાં આવે છે.
ઈન્ડોનેશિયાના મોટાભાગના લોકો રામાયણને પોતાની નીકટ માને છે. અહીં રામ કથાને કાકાવીન કે કકનિન રામાયણ (Kakawin Ramayana) ના નામે ઓળખવામાં આવે છે. જો કે જ્યાં એક બાજુ ભારતમાં રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીને માનવામાં આવે છે ત્યાં ઈન્ડોનેશિયામાં કકનિન રામાયણના રચયિતા કવિ યોગેશ્વરને માનવામાં આવે છે. અહીં કકનિન રામાયણ એક વિશાળ ગ્રંથ છે. ઈન્ડોનેશિયાના કકનિન રામાયણના 26 અધ્યાય છે.
કકનિન રામાયણમાં રામ ભગવાનના પિતાનું નામ દશરથ નહીં પરંતુ વિશ્વરંજન છે. ઈન્ડોનેશિયાના રામાયણની શરૂઆત ભગવાન રામના જન્મથી થાય છે. અહીં વિશ્વામિત્રની સાથે ભગવાન રામ તથા લક્ષ્મણના વન પ્રસ્થાનમાં ઋષિગણો દ્વારા મંગળાચરણ કરાવાય છે. કકનિન રામાયણ મુજબ ભગવાન રામના જન્મ દરમિયાન ઈન્ડોનેશિયાનું વાદ્ય યંત્ર 'ગામલાન' વાગે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 23 કરોડ મુસ્લિમ વસ્તીવાળા દેશ ઈન્ડોનેશિયાની સરકારે વર્ષ 1973માં એક આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલનનું આયોજન કરાવ્યું હતું. દુનિયાભરમાં આ આયોજનની ખુબ ચર્ચા થઈ હતી. કારણ કે તે પોતાનામાં જ એક ખાસમખાસ આયોજન હતું. દુનિયામાં પહેલીવાર એવું બન્યું કે જ્યારે પોતાને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરનારા કોઈ દેશે કોઈ અન્ય ધર્મના ધર્મગ્રંથના સન્માનમાં આટલું મોટું આયોજન કર્યું હતું.
ઈન્ડોનેશિયા અને ભારતના રામાયણમાં એક ખાસ અંતર એ પણ છે કે જ્યાં ભારતમાં રામનો જન્મ અયોધ્યામાં થયો હતો ત્યાં ઈન્ડોનેશિયામાં રામની નગરી 'યોગ્યા' નામથી ઓળખાય છે. આજે પણ ઈન્ડોનેશિયામાં રામાયણનો એટલો જ ઊંડો પ્રભાવ છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં કકનિન રામાયણના અવશેષો તથા પથ્થરો પર રામકથાના ચિત્રોની કોતરણી સરળતાથી જોવા મળી જશે.