વિકાસશીલ ગુજરાતમાં ઝેર પીવુ પડે છે : એક લાચાર પિતાએ ઘરના 6 સભ્યોને દવા પીવડાવી ગળાફાંસો ખાધો

Sat, 28 Oct 2023-3:30 pm,

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. ઘટના જાણ થતા જ તેમના સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. 

તો બીજી તરફ, સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા કરી લેતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. બેરોજગારી મોંઘવારી વધી રહી છે તેના લીધે લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે. ગરીબ વધુ ગરીબ બનતો જાય છે અને પૈસાદાર વધુ પૈસાદર બનતો જાય છે. સરકારની એક બાદ એક એવી નીતિ આવે છે કે ગરીબ અને મધ્યમ વર્ગ તેમાં ધકેલાતો જઈ રહ્યો છે. એક તરફ સરકાર વાઇબ્રન્ટના નામે કરોડો રૂપિયાના ધુમાડા કરે છે અને બીજી તરફ માસુમ જિંદગી હોમાઈ રહી છે. સરકાર સાત લોકોને આત્મહત્યાને એક ઘટના ગણીને લેવામાં ના આવે, પણ રાજકીય અને સામાજિક દૃષ્ટિથી જોવામાં આવે તે સરકાર પાસે આશા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી વિભાગમાં રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ ડીસીપી કક્ષાના અધિકારીઓ તાત્કાલિક માહિતી મળતા દોડી આવ્યા છે. મોડી રાતે પરિવારે મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોયુ તો પરિવારના મોભીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તો સાથે જ પરિવારના અન્ય 6 સભ્યોએ ઝેરી પદાર્થ પીને આપઘાત કર્યો હતો. પાલનપુર પાટિયા પાસેના નૂતન રો હાઉસ ની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેંટમાં એક જ પરિવારનાના સાત લોકો સાથે રહેતા હતા. દિકરાએ માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી જાતે ફાંસી લગાવી આત્મહત્યા કરી છે.

પિતા કનુભાઈ સોલંકી, માતા શોભનાબેન સોલંકી, પતિ મનીષ સોલંકી, પત્ની રીટા સોલંકી, દીકરી દિક્ષા અને કાવ્યાનું મોત, દિકરો કુશલનું પણ મોત   

સુરત પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું.

આ સામુહિક હત્યાના કિસ્સાથે સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. તો સાથે આ વાતની જાણ થતા જ તેમના સ્વજનો દોડી આવ્યા છે. પરિવારજનોને એક પછી એક અંદર લઈ જવામાં આવી રહ્યાં છે. સ્વજનોના આંખમાંથી આસું સરી પડ્યા હતા. આવેલા સ્વજનોએ કહ્યું કે, અમને કહેવુ તો હતું કે તકલીફ છે. પરિવારના મોભીનો મોબાઈલ એફએસએલમાં મોકલી દેવાયો છે. તો પરિવારના અન્ય સદસ્યોના ફોન પણ એફએસએલ માટે મોકલી દેવાયા છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link