Team India Semi Final Rule: ટીમ ઈન્ડિયા સુપર-8માં પ્રથમ મેચ જીતી ચૂકી છે. ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે બીજી મેચ રમશે. આ મેચમાં જીતની સાથે ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવાનું લગભગ નક્કી થઈ જશે. તો સુપર-8માં રોહિત સેના પોતાની અંતિમ મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારતીય પોઈન્ટ ટેબલમાં ગમે તે સ્થાન પર રહે, આઈસીસીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે રોહિત સેના 27 જૂને ભારતીય સમયાનુસાર ગુયાનામાં સેમીફાઈનલ રમશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે સુપર-8માં પહોંચનારી દરેક આઠ ટીમને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં ક્વોલીફાય કરશે. ગ્રુપ-1ની ટોપર ટીમ બીજા ગ્રુપની બીજા નંબરની ટીમ સામે ટકરાશે. તો બીજા ગ્રુપની ટોપર ટીમ પહેલા ગ્રુપમાં બીજા સ્થાને રહેનારી ટીમ સામે રમશે. પરંતુ આઈસીસીએ તે નક્કી કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા બીજી સેમીફાઈનલ રમશે. 


બીજી સેમીફાઈનલ માટે રિઝર્વ ડે નથી
2024 ટી20 વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ ભારતીય સમયાનુસાર 27 જૂને સવારે છ કલાકે રમાશે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝમાં મેચ 26 જૂને રાત્રે શરૂ થશે. આ મેચ માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. તો ભારતની મેચ (જો ટીમ ઈન્ડિયા સેમીમાં પહોંચે તો) માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો નથી. જો આ મેચમાં વરસાદ થાય છે તો પછી મેચ કરાવવા માટે આશરે 4 કલાક સુધી રાહ જોવામાં આવશે. તેમ છતાં મેચ ન રમાઈ શકે તો સુપર-8 પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.


ભારત માટે દરેક મેચ જીતવી મહત્વની
આઈસીસીના નિયમ પ્રમાણે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 24 જૂને સુપર-8 મેચમાં હારી જાય છે અને પછી સેમીફાઈનલ મુકાબલો વરસાદને કારણે ન રમાઈ તો ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેવાને કારણે બહાર થઈ જશે. જો ટીમ સુપર-8માં ઓસ્ટ્રેલિયાને હરાવી દે તો સેમીફાઈનલ રદ્દ થવાની સ્થિતિમાં ફાઈનલમાં પ્રવેશ કરી લેશે. નોંધનીય છે કે 27 જૂને ગુયાનામાં ભારે વરસાદની સંભાવના છે.