શારજાહઃ વિસ્ફોટક બેટિંગ ક્રમ અને અંતિમ ઓવરોના શાનદાર બોલરોની હાજરીથી સનરાઇઝર્સ હૈદરાબાદ  (SRH) વિરુદ્ધ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો હાથ ઉપર રહેશે. સનરાઇઝર્સની મુશ્કેલી મુખ્ય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar Injury) ઈજાગ્રસ્ત થવાથી વધી ગઈ છે, જેનું આજની મેચમાં રમવુ શંકાસ્પદ છે. ભુવનેશ્વર કુમાર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ શુક્રવારે 19મી ઓવરના પ્રથમ બોલ પર યોર્કર ફેંક્યા બાદ સ્નાયુ ખેંચાવાની મુશ્કેલીને કારણે બોલિંગ ન કરી શક્યો. આ મેચ બપોરે 3.30 કલાકે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુવીનું રમવુ શંકાસ્પદ
ભુવી ફિઝિયોની મદદથી મેદાન બહાર ગયો હતો. ટેબલમાં ટોપ પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો પ્રયાસ આ અનુભવી બોલરની ગેરહાજરીમાં શારજાહના નાના મેદાન પર વધુ મોટા શોટ રમવાનો હશે. શારજાહના મેદાનની બાઉન્ડ્રી દુબઈ અને અબુધાબીની તુલનામાં નાની છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ચાર મેચોમાં 170 રન બનાવ્યા છે અને તે શાનદાર લયમાં ચાલી રહ્યો છે. તેની પાસે કોઈપણ બોલિંગને ધ્વસ્ત કરવાની ક્ષમતા છે. 


મુંબઈને આ વાતની હશે ચિંતા
ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકનું ફોર્મ ચિંતાજનક જરૂર છે પરંતુ સૂર્યકુમાર યાદવ પોતાની શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરવા ઈચ્છશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે સૌથી મોટી સકારાત્મક વાત છે કે તેનો મધ્યમ ક્રમ શાનદાર ફોર્મમાં છે. ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને કાયરન પોલાર્ડ સહજતાથી મોટા શોટ રમવામાં માહેર છે. હાર્દિક અને પોલાર્ડ શારજાહના મેદાનોમાં સરળતાથી મોટા શોટ લગાવી શકે છે. ટીમના બોલરોએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ તેમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છશે નહીં. અનુભવી ફાસ્ટ બોલરોને સ્પિનર રાહુલ ચાહર અને ક્રુણાલ પંડ્યાનો સારો સાથ મળ્યો છે. 


હૈદરાબાદ પાસે પણ દમદાર ખેલાડીઓ
સનરાઇઝર્સનો આત્મવિશ્વાસ સીએસકેને સાત રનથી હરાવીને વધ્યો છે. તે મેચમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનાથઈ સીનિયર ખેલાડીઓ પર દબાવ ઓછો હશે અને ટીમ મેનેજમેન્ટને આશા હશે કે કેપ્ટન ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો અને મનીષ પાંડે બેટથી સારૂ યોગદાન આપશે. કેમ વિલિયમસન પાસે મધ્ય ક્રમમાં મજબૂતી આપવાની આશા હશે. ટીમમાં જો સીનિયર ખેલાડીઓ રન બનાવે તો અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ જેવા યુવા ખુલીને રમી શકશે. 


રાશિદ અને નટરાજન પર નિર્ભર SRH
ભુવનેશ્વર કુમાર જો ઈજામાંથી બહાર આવવામાં નિષ્ફળ રહે તો યોર્કર નિષ્ણાંત ટી નટરાજન અને ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહમદ અને સ્ટાર સ્પિનર રાશિદ ખાન પર દબાવ વધી જશે. ભુવનેશ્વરના સ્થાને બાસિલ થમ્પી, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલમાંથી કોઈને તક મળી શકે છે. 


મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.


સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ,  બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ, જેસન હોલ્ડર.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર