કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઈન ખાનનું માનવું છે કે, હાલની ટીમ વિશ્વકપમાં હંમેશા ભારત સામે હારવાના કલંકને ધોઈને ઈંગ્લેન્ડમાં યોજોનારા આગામી વિશ્વકપમાં કટ્ટર હરીફ ભારત પર પહેલી જીત મેળવી શકે છે. વિશ્વકપમાં અત્યાર સુધી છ વખત ભારત અને પાકિસ્તાનની ટક્કર થઈ છે અને દર વખતે ભારતનો વિજય થયો છે. હવે બંન્ને ટીમો 16 જૂને ક્રિકેટના આ મહાકુંભમાં આમને-સામને હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોઈને જીટીવી ચેનલ પર કહ્યું, હાલની ટીમ વિશ્વકપમાં ભારત પર પ્રથમ જીત મેળવી શકે છે, કારણ કે આ ખૂબ પ્રતિભાશાળી ટીમ છે. તેમાં  ડેપ્થ અને વિવિધતા છે અને સરફરાઝ અહમદનો ખેલાડીઓ સાથે સારો તાલમેલ છે. 


વિશ્વકપ 1992 અને 1999ની ટીમના સભ્ય રહેલા મોઈને કહ્યું કે, તેને આ વખતે પાકિસ્તાનની જીતનો વિશ્વાસ છે. તેણે કહ્યું, અમારી ટીમે બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને હરાવ્યું અને ઈંગ્લેન્ડમાં જૂનમાં સ્થિતિ અમારી અનુકૂળ હશે. અમારી પાસે સારા બોલર છે. 


મોઈને ભારત અને ઈંગ્લેન્ડને વિશ્વકપના પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. તેણે કહ્યું, આ રસપ્રદ વિશ્વકપ હશે અને મને લાગે છે કે, પાકિસ્તાની ટીમ ભારતને હરાવી દેશે. અમે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે મેચ રમીને વિશ્વકપમાં જશું. 



ઈંગ્લેન્ડને મળી આશ્વાસન જીત, વેસ્ટઈન્ડિઝને ત્રીજી ટેસ્ટમાં 232 રને હરાવ્યું 


પીસીબીએ શરજીલની અપીલ ઠુકરાવી
બીજીતરપ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પોટ ફિક્સિંગ મામલામાં પ્રતિબંધનો સામનો કરી રહેલા શરજીલ ખાનની ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની અપીલને ઠુકરાવી દીધી છે. શરજીલ પર લાગેલો પ્રતિબંધ આ વર્ષે ઓગસ્ટમાં પૂરો થઈ જશે. પીસીબીના એક સીનિયર અધિકારીએ કહ્યું, શરજીલે પોતાના વકીલ દ્વારા અરજી મોકલી હતી, જેના પર બોર્ડના સંચાલકોની બેઠકમાં વાત કરવામાં આવી હતી. 


શરજીલના વકીલ શેગાન એઝાજે કહ્યું, શરજીલે બોર્ડના અધ્યક્ષ અહસાન મનીને વિનંતી કરી હતી કે તેઓ ભ્રષ્ટાચાર નિવારણ આચાર સંહિતા હેઠળ પોતાના વિશેષાધિકારોનો ઉપયોગ કરીને તેને ડોમેસ્ટિક અને ક્લબ ક્રિકેટ રમવાની મંજૂરી આપે. 


તેમણે કહ્યું કે, પીસીબીએ આ પહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને છૂટ આપી હતી. પીસીબીના અધિકારીએ કહ્યું કે, ઘણી ચર્ચા કર્યા બાદ તે નક્કી કરવામાં આવ્યું કે, શરજીલને ઓગસ્ટમાં જ રમવાની મંજુરી મળશે. 


ઓપનિંગ બેટ્સમેન શરજીલને દુબઈમાં ફેબ્રુઆરી 2017માં પાકિસ્તાન સુપર લીગની બીજી સીઝનની શરૂઆતમાં સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવાયો જે ઘટાડીને અઢી વર્ષ કરી દેવામાં આવ્યો હતો.