નવી દિલ્હીઃ આખરે અટકળોનો અંત આવી ગયો, અફવાઓ પર વિરામ લાગી. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશિપના વિવાદ પર ફૂલ સ્ટોપ લગાવી દીધુ છે. 1 જૂનથી યુએસએ-વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા જ ભારતીય ટીમની કમાન સંભાળશે જ્યારે હાર્દિક પંડ્યાએ વાઇસ કેપ્ટનથી સંતોષ કરવો પડી શકે છે. બીસીસીઆઈ સચિવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટ પહેલા 14 ફેબ્રુઆરી, બુધવારે નિરંજન શાહ સ્ટેડિયમના અનાવરણ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી છે. ટી20 વિશ્વકપ 1થી 29 જૂન સુધી રમાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ વિરુદ્ધ કરશે અને ચાર દિવસ બાદ પાકિસ્તાન સામે ટકરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI સચિવે કરી પુષ્ટિ
જય શાહે કહ્યું- આપણે ભલે 2023 વનડે વિશ્વકપની ફાઈનલ હારી ગયા, પરંતુ આપણે ત્યાં 10 મેચ સતત જીતીને દિલ જીતી લીધું. મને વિશ્વાસ છે કે ભારત બાર્બાડોસમાં રોહિત શર્માની આગેવાનીમાં 2024 ટી20 વિશ્વકપ જીતશે. ટી20 વિશ્વકપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ રોહિત શર્માએ કોઈ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નહોતી, પરંતુ તાજેતરમાં અફઘાનિસ્તાન સિરીઝથી તેણે શાનદાર વાપસી કરી હતી. પ્રથમ બે મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ રોહિતે બેંગલુરૂમાં શાનદાર સદી ફટકારી હતી. 


આ પણ વાંચોઃ IND vs ENG: બોલર કે બેટર, રાજકોટની પિચ કોને કરશે મદદ? સામે આવી મહત્વની માહિતી


ટી20 વિશ્વકપમાં ભારતનો કાર્યક્રમ
ભારત VS આયર્લેન્ડ - 5 જૂન, ન્યૂયોર્ક
ભારત VS પાકિસ્તાન - 9 જૂન, ન્યૂયોર્ક
ભારત VS યુએસએ - 12 જૂન, ન્યૂયોર્ક
ભારત VS કેનેડા - 15 જૂન, ફ્લોરિડા

શાનદાર લયમાં છે રોહિત શર્મા
રોહિતે પાછલા વર્ષે વનડે વિશ્વકપ 2023માં નીડર થઈને ટીમની કમાન સંભાળી હતી. ટીમે દરેક રાઉન્ડ રોબિન મેચ અને સેમીફાઈનલ જીતી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમે શરૂઆતથી આક્રમક બેટિંગ કરી અને રોહિતે શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતીય કેપ્ટન 597 રનની સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોમાં બીજા સ્થાને રહ્યો હતો. પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ટ્રોફી કબજે કરી હતી.