નવી દિલ્હીઃ હવે ભારતીય ક્રિકેટ ફેન્સને આઈપીએલમાં આઠની જગ્યાએ દસ ટીમો રમતી જોવા મળી શકે છે. બે વર્ષ બાદ એટલે કે 2021 સુધી વિશ્વની સૌથી મોટી લીગમાં આઠની જગ્યાએ 10 ટીમ જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં બે નવી ટીમોને સામેલ કરવાને લઈને ચર્ચા ચાલી રહે છે અને તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. પુણે, અમદાવાદ અને રાંચી કે જમશેદપુરમાંથી કોઈ બે ટીમને 2021 સુધી આઈપીએલમાં સામેલ કરી શકાય છે. તેમાં પુણે માટે આરપીજી-સંજીવ ગોયનકા ગ્રુપ, અમદાવાદ માટે અદાણી ગ્રુપ અને રાંચી કે જમશેદપુરમાંથી કોઈ એક શહેર માટે ટાટા ગ્રુપ રેસમાં છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ 2011મા ટીમોની સંખ્યાને દસ કરી દીધી હતી પરંતુ ઘણા વિવાદ થયા હતા. ત્રણ વર્ષ બાદ બે નવી ટીમોને હટાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે બે નવી ટીમને સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી ચે. તે માટે યોજના તૈયાર કરવામાં આવી છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. તેને લઈને લંડનમાં એક બેઠક પણ કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે બે નવી ટીમો આવવાથી આઈપીએલને ફાયદો થશે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરીએ પણ તેના માટે સકારાત્મક જવાબ આપ્યો છે પરંતુ બેઠક વિશે તેમણે કંઇ જણાવ્યું નથી. 


તમને જણાવી દઈએ કે 2011મા પુણે ફ્રેન્ચાઇઝીને સહારા ગ્રુપે હાસિલ કરી હતી અને આ ટીમ પુણે વોરિયર્સના નામથી રમી હતી. બાદમાં 2013મા આ ટીમ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ 2016મા ચેન્નઈ અને રાજસ્થાન પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે સંજીવ ગોયનકાની કંપની આરપીજી ગ્રુપે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના નામથી ટીમ બનાવી હતી. તેમની ટીમ 2 વર્ષ સુધી રહી હતી. ગોયનકાની આઈપીએલમાં કોલકત્તા ફ્રેન્ચાઇઝી છે અને તે પાછલા વર્ષથી દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવા ઈચ્છતા હતા પરંતુ તેમને સફળતા ન મળી. તેવામાં તે નવી ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવવા તૈયાર છે. 

કેન વિલિયમસને વિશ્વ કપમાં રચ્યો ઈતિહાસ, બન્યો દુનિયાનો પ્રથમ કેપ્ટન 


ટાટા ગ્રુપે પણ કેટલાક વર્ષ પહેલા આઈએસએલમાં જમશેદપુરની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. માનવામાં આવી રહ્યું છે કે રતન ટાટાનું ગ્રુપ અહીં પણ હાથ અજમાવી શકે છે. આ સિવાય કેટલાક ગ્રુપ એવા પણ છે જે યૂપીમાં કાનપુર કે લખનઉની ફ્રેન્ચાઇઝી લેવા ઈચ્છે છે. જો આ બધુ બરાબર રહ્યું તો, આઈપીએલમાં 8ની જગ્યાએ 10 ટીમ જોવા મળી શકે છે.