મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટિકાથી બચવા માટે યો-યો ટેસ્ટ બાદ જ રાષ્ટ્રીય ટીમ માટે ખેલાડીઓને પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે હાલના સમયમાં શરમમાં મુકાયુ હતું, જ્યારે ટેસ્ટ ટીમમાં સામેલ મોહમ્મદ શમી અને વનડે ટીમમાં પસંદ કરાયેલ અંબાતી રાયડૂ યો-યો ટેસ્ટમાં ફેલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય ટીમ માટે પસંદ કરાયેલા આ ખેલાડીઓ સિવાય ઈંગ્લેન્ડના પ્રમાસ માટે ભારત-એના ખેલાડી સંજૂ સૈમસન પણ નિષ્ફળ રહ્યો હતો. અફઘાનિસ્તાન ટેસ્ટ, ભારત અને ભારત-એના ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમની જાહેરાત ગત મહિને આઈપીએલ દરમિયાન કરવામાં આવી હતી. 


આ મુદ્દે ક્રિકેટ પ્રશાસકોની સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી, જેમાં સીઓએ પ્રમુખ વિનોદ રાય, ડાયના એડુલ્જી, બીસીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જોહરી અને ક્રિકેટ સંચાલનના જનરલ મેનેજર સબા કરીમ હાજર હતા. 


બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું, હવે ખેલાડીઓની પસંદગી ફિટનેસ ટેસ્ટમાં સફળ થયા બાદ કરવામાં આવશે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી આઈપીએલ દરમિયાન થઈ હતી, તેથી ખેલાડીઓ પસંદગી બાદ ફિટનેસ ટેસ્ટ માટે હાજર થયા. 


તેમણે કહ્યું, પસંદગી બાદ ટેસ્ટ થવાથી ખેલાડી અસહજ સ્થિતિમાં આવે છે અને આગળથી આમ થશે નહીં. રાયડૂએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શનની મદદથી વનડે ટીમમાં વાપસી કરી હતી, પરંતુ બોર્ડ દ્વારા ફિટનેસ માટે નક્કી કરેલા માપદંડોમાં તે અસફળ રહ્યો અને તેના સ્થાને ઈંગ્લેન્ડના પ્રવાસમાં યોજાનારી વનડે શ્રેણી માટે ટીમમાં સુરેશ રૈનાને સામેલ કરવામાં આવ્યો છે. 


છેલ્લા કેટલાક સમયથી મેદાનની બહારની ગતિવિધિઓને કારણે ચર્ચામાં રહેલ શમી પણ યોયો ટેસ્ટમાં અસફળ રહ્યો અને અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ટીમમાં તેની જગ્યાએ દિલ્હીના ફાસ્ટ બોલર નવદીપ સૈનીને સામેલ કરવામાં આવ્યો હતો. શમીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે ટીમની પસંદગી પહેલા ફિટનેસ સાબિત કરવાનો એક અવસર મળશે. 


સીઓએની બેઠકમાં તે પણ નિર્ણય કરવામાં આવ્યો કે, આગામી રણજી ટ્રોફીમાં સામેલ થનારી બિહાર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરની નવી ટીમો ગ્રુપ-ડીમાં એકબીજા વિરુદ્ધ રમશે અને માત્ર એક ટીમ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ થશે.