ટીમ ઈન્ડિયાને હરાવવા માટે શ્રીલંકાની મદદ કરી રહ્યો છે આ ભારતીય દિગ્ગજ, જયસૂર્યાએ કર્યો ખુલાસો
India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા યજમાન ટીમના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ મોટો ખુલાસો કર્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા શ્રીલંકાના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ મોટો ખુલાસો કર્યો છે. જયસૂર્યાએ જણાવ્યું કે આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના હાઈ પરફોર્મંસ ડિરેક્ટર ઝુબિન ભરૂચાએ ભારત વિરુદ્ધ સારૂ પ્રદર્શન કરવા માટે તેના બેટર્સની મદદ કરી છે. આશા છે કે શ્રીલંકાની ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિનો ફાયદો ઉઠાવશે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પાછલા મહિને ટી20 વિશ્વકપ જીત્યા બાદ ટી20 ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. જયસૂર્યાએ ખુલાસો કર્યો કે શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ લંકા પ્રીમિયર લીગ સાથે જોડાયેલા હોવા છતાં ઝુબિન ભરૂચાની સાથે છ દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે કરી પ્રથમ પોસ્ટ, હાર્દિક પંડ્યાએ કરી દીધી બે કોમેન્ટ
સનથ જયસૂર્યાએ કહ્યું, ‘અમે એલપીએલ પછી તરત જ કેમ્પ શરૂ કર્યો હતો. મોટાભાગના ખેલાડીઓ એલપીએલમાં રમતા હતા. અમારા ઘણા ખેલાડીઓ વ્યસ્ત હતા. આમ છતાં અમે રાજસ્થાન રોયલ્સ તરફથી ઝુબિન ભરૂચાને લાવ્યા. અમે લગભગ છ દિવસ તેની સાથે કામ કર્યું. એલપીએલમાં રમ્યા બાદ તેની સાથે અન્ય ક્રિકેટરો પણ જોડાયા હતા. આનાથી ખેલાડીઓને ફાયદો થયો છે.
પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું- તૈયારી સારી છે. ટી20 સિરીઝ શરૂ થતા પહેલા કેન્ડીમાં અમારી પાસે બે દિવસ હજુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે નવી તકનીક, નવા દ્રષ્ટિકોણ અને નવા શોટ મારવાનું શીખવું મહત્વપૂર્ણ છે, જેથી તે પ્રભાવી બની શકે.