ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિરુદ્ધ ATA (Anti Terrorism Act)ની કલમો હેઠળ એફઆઈઆર દાખલ થઈ છે. તેમના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો અને ન્યાયપાલિકાને પોતાનું કામ કરતી રોકવાનો આરોપ લાગ્યો છે. આ અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે રવિવારે કહ્યું હતું કે સરકાર, એક રેલીને સંબોધન દરમિયાન રાજ્યની સંસ્થાઓને ધમકી આપવા અને ભડકાઉ નિવેદનો આપવા બદલ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કરવાનું વિચારી રહી છે. સનાઉલ્લાહે એક પત્રકાર સંમેલનમાં કહ્યું હતું કે સરકાર ખાન વિરુદ્ધ કોઈ પણ કેસ શરૂ કરતા પહેલા કાનૂની સલાહ લેશે. આ બાજુ પીટીઆઈના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ખાને શનિવારે એક જનસભાને સંબોધિત કરતા પોતાના સહયોગી શાહબાજ ગિલ સાથે થયેલા વ્યવહારને લઈને ટોચના પોલીસ અધિકારીઓ, એક મહિલા મેજિસ્ટ્રેટ, પાકિસ્તાનના ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. સનાઉલ્લાહે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પ્રમુખનું ભાષણ સેના અને અન્ય સંસ્થાઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિનો સિલસિલો છે. કાયદા મંત્રીએ કહ્યું કે આ બધુ સતત થઈ રહ્યું છે. લાસબેલાની ઘટના બાદ એક અધિયાનથી જ્યારે સેનાના છ અધિકારીઓ માર્યા ગયા હતા ત્યારબાદ ગિલે પોતાના ટોચ કમાનના વિરુદધ જવા માટે સેનાના રેંકોને ઉક્સાવવાની કોશિશ કરી અને પછી ઈમરાને એક મહિલા ન્યાયધીશ અને પોલીસ અધિકારીઓને તેમના કર્તવ્યનું પાલન કરવા માટે ધમકી આપી. 


સનાઉલ્લાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે તેમના હાલના ભાષણ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ મામલે થોડા દિવસમાં અંતિમ નિર્ણય લેતા પહેલા તેઓ સોલિસિટર જનરલ અને કાયદા મંત્રાલય સાથે ચર્ચા કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં મીડિયા પર નિગરાણી રાખનારી સંસ્થાએ પણ તમામ ઉપગ્રહ ટેલિવિઝન ચેનલો દ્વારા પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ભાષણોના સીધા પ્રસારણ પર તત્કાળ પ્રભાવથી રોક લગાવી છે. હાલમાં જ જ્યારે ખાને ઈસ્લામાબાદમાં એક રેલીને સંબોધિત કરતા સરકારી પ્રતિષ્ઠાનો અને સરકારી અધિકારીઓને ધમકી આપી હતી ત્યારે એવા ટાણે આ પગલું ભરાયું છે. 


પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા નિયામક પ્રાધિકરણ (પેમરા)એ શનિવારે એક વિજ્ઞપ્તિ બહાર પાડીને કહ્યું હતું કે ટેલિવિઝન ચેનલ વારંવાર ચેતવણી આપવા છતાં 'સરકારી પ્રતિષ્ઠાનો' વિરુદ્ધ સામગ્રીના પ્રસારણને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. તેમાં કહેવાયું છે કે 'એવું જોવા મળ્યું છે કે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાન પોતાના  ભાષણો/વ્યક્તવ્યોમાં સરકારી પ્રતિષ્ઠાનો પર સતત નિરાધાર આરોપ લગાવી રહ્યા છે અને ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા ધૃણાસ્પદ ભાષણોનો પ્રચાર કરી રહ્યા છે. જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં મુશ્કેલી થઈ શકે છે અને તેનાથી જાહેર શાંતિ ભંગ થવાની આશંકા છે.' 


પીટીઆઈના કાર્યકરો રસ્તા પર ઉતર્યા
ઈસ્લામાબાદમાં બનેલા રાજકીય માહોલ પર પીટીઆઈના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરી. ત્યારબાદ પીટીઆઈના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઈમરાન ખાનના સમર્થકો તેમના આવાસ બાની ગાલા પહોંચે. ત્યાં અનેક કાર્યકરો પહેલેથી હાજર છે. તેમણે કહ્યું હતું કે ગણતરીના કલાકોમાં હજારો લોકો બાની ગાલા ઈંશાઅલ્લાહમાં હશે. તેમણે એમ પણ કહ્યું કે પીટીઆઈ તરફથી ફૈસલાબાદથી બાની ગાલા માટે બસોના કાફલા ચાલી રહ્યા છે. તમે જ્યાં પણ હોવ આજે જ બાની ગાલા પહોંચો અને ઈમરાન ખાન સાથે એકજૂથતા દર્શાવો. 


એક ટ્વીટમાં ફવાદે જણાવ્યું કે ઈમરાનને કહ્યું હતું કે પંજાબ જતા રહો. પરંતુ તેમણે કહ્યું કે મને ડર નથી જે પણ ધરપકડ કરવા માંગતા હોય તે કરી શકે છે. ઈમરાન સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરેશીએ ઈમરાનને પોતાની રેડ લાઈન ગણાવ્યા છે. તેમણે લખ્યું કે ઈમરાનને જેલમાં નાખનારા ષડયંત્રકારોએ સમગ્ર દેશની પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. પીટીઆઈ નેતા હમ્માદ અઝહરે એક ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું કે આ સરકાર સમગ્ર દેશને અસ્થિર કરવાની કોશિશ કરી રહી છે. બાની ગાલા પર કોઈ પણ પ્રકારનું સાહસિક કાર્ય વાસ્તવમાં પાકિસ્તાનની સ્થિરતા પર હુમલો છે, જેને પાકિસ્તાનના જોશીલા લોકો કોઈ પણ પ્રકારે સફળ થવા દેશે નહીં. 


અત્રે જણાવવાનું કે ઈસ્લામાબાદના સદર મેજિસ્ટ્રેટ અલી જાવેદની ફરિયાદ પર પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાન વિરુદધ એટીએ હેઠળ કેસ દાખલ થયો છે. ત્યારબાદ પીટીઆઈના સમર્થકોને રસ્તાઓ પર ઉતરવાનું કહેવામાં આવ્યું. ઈમરાન ખાન વિરુધ્ધ શનિવારની રાતે 10 વાગે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં એફ9 પાર્કમાં પીટીઆઈની રેલીમાં ઈમરાન ખાનના ભાષણોનો ઉલ્લેખ છે. આ એફઆઈઆરમાં એટીએની કલમ 7 પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube