કોલંબોઃ ભારતનો પાડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં સરકાર વિરુદ્ધ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. હવે આ વિરોધને રોકવા માટે રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. જાણવા મળી રહ્યું છે કે હિંસા કરનાર વિરુદ્ધ શૂટ એટ સાઇટ એટલે કે તત્કાલ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયું છે જેમાં કાલે એક સાંસદનું પણ મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ઉગ્ર બન્યું પ્રદર્શન
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકો સરકાર વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ સોમવારે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ દેશમાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું. હિંસામાં અત્યાર સુધી એક સાંસદ સહીત 5 લોકોના મોત થયા અને 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના ઘરને પણ નિશાન બનાવ્યું હતું. તેમના ઘરને આગના હવાલે કરી દેવામાં આવ્યું હતું. 


શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ મંગળવારે રાજપક્ષે પરિવારના વફાદારોને દેશમાંથી ભાગતા રોકવા માટે કોલંબોના ભંડારનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ આવતા રસ્તા પર તપાસ ચોકી બનાવી દીધી હતી. ત્યારબાદ મહિન્દા રાજપક્ષેએ પોતાના પરિવારની સાથે પ્રધાનમંત્રીનું સત્તાવાર નિવાસ્થાન ટેમ્પલ ટ્રીઝ છોડી દીધુ હતું. તેમણે ટ્રિંકોમાલીના સૈન્ય ઠેકાણા પર શરણ લીધી છે. 


આ પણ વાંચોઃ મહિન્દાના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની મુશ્કેલીમાં થયો વધારો


શું અવિશ્વાસ પ્રસ્વાત લાવશે વિપક્ષ?
શ્રીલંકાની વિપક્ષી પાર્ટીએ સરકાર વિરુદ્ધ બે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ સીધા જ ચૂંટાતા હોવાથી, સરકારની સંસદીય હકાલપટ્ટી તેમની સ્થિતિને સખત અસર કરશે નહીં પરંતુ ચોક્કસપણે તેમની સત્તાને નબળી પાડશે. તેવામાં રાષ્ટ્રપતિ રાજપક્ષેની મુશ્કેલી વધી શકે છે, કારણ કે પ્રદર્શનકારી પીછેહટ કરવાના મૂડમાં નથી. 


મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા
રાષ્ટ્રપતિ પદ છોડવા માંગતા નથી અને તે વાત પણ સામે આવી રહી છે કે મહિન્દાને પોતાનું રાજીનામુ પરત લેવા અને ફરી પીએમની ખુરશી સંભાળવાની મંજૂરી આપવામાં આવી શકે છે. મહત્વનું છે કે આઝાદી બાદના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આઈએમએફની સાથે દેશની વાતચીત ચાલી રહી છે. ભારતે પણ શ્રીલંકાને મદદ કરી છે. તો શ્રીલંકાની સરકાર ચીન પાસે પણ મદદ માંગી રહી છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube