પાડોશી દેશ નેપાળમાં મોટી દુર્ઘટના ઘટી છે. લેન્ડસ્લાઈડ બાદ બે બસો એક નદીમાં તણાઈ ગઈ. આ અકસ્માતમાં અનેક મુસાફરો ગુમ હોવાનું કહેવાય છે. સેન્ટ્રલ નેપાળના મદન આશ્રિત હાઈવે પર ભૂસ્ખલનની ઝપેટમાં આવતા બે નદીઓ ત્રિશુળી નદીમાં પડીને તણાઈ ગઈ. બંને બસોમાં થઈને કુલ 63 મુસાફરો હોવાનું કહેવાય છે. જે હાલ ગૂમ છે. સવારના 3.30 વાગે ઘટેલી આ ઘટનામાં ગૂમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું છે. પરંતુ ભારે વરસાદના કારણે ખુબ મુશ્કેલીઓ આવી રહી છે. આટલા કલાકો બાદ પણ ગૂમ થયેલા મુસાફરોની ભાળ મળી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત ભારે વરસાદના કારણે અચાનક થયું ભૂસ્ખલન
નેપાળના રોડ પ્રભાગ કાર્યાલય મુજબ શુક્રવારે સવારે 3.30 વાગે મદન આશ્રિત હાઈવે પર સતત મૂસળધાર વરસાદના કારણે અચાનક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલન થયું તે વખતે ત્યાંથી બે બસો પસાર થઈ રહી હતી. બંને બસો કાટમાળની ઝપેટમાં આવી જતા સીધી ત્રિશુળી નદીમાં ખાબકી. વરસાદના પાણીના કારણે નદીઓ બે કાંઠે વહી રહી હતી. પાણીના તેજ પ્રવાહના કારણે બસો તણાઈ ગઈ. 



કાઠમંડુથી રૌતહટ જઈ રહી હતી બસો
ચિતવનના મુખ્ય જિલ્લાધિકારી ઈન્દ્રદેવ યાદવે ઘટનાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે બંને બસો રાઠમંડુથી રૌહતટ જઈ રહી હતી. એક બસ એન્જલ અને બીજી બસ ગણપતિ ડીલક્સની હતી. એક બસમાં 24 અને બીજી બસમાં 41 લોકો હોવાનું કહેવાય છે. જેમાંથી 63 લોકો બસો સાથે વહી ગયા. હાલ તેમની કોઈ ભાળ મળી નથી. 


ત્રણ લોકો બસોમાંથી કૂદ્યા
યાદવના જણાવ્યાં મુજબ ત્રણ પેસેન્જર ખુશનસીબ સાબિત થયા જેઓ ઘટના સમયે બસમાંથી કૂદીને જીવ બચાવવામાં સફળ રહ્યા. ત્રણેય મુસાફરોએ જણાવ્યું કે તેઓ ગણપતિ ડીલક્સ બસમાં હતા. આ ત્રણેય મુસાફરોએ ઘટનાની જાણકારી પોલીસને આપી. ત્યારબાદ રેક્સ્યૂ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ. 


તાબડતોડ શરૂ થયું રેસ્ક્યૂ ઓપરેશન
યાદવે જણાવ્યું કે ઘટનાની જાણ થતા તરત જ બસોની શોધમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. પરંતુ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં વિધ્ન આવી રહ્યું છે. ત્રિશુળી નદી પણ ભારે વરસાદના કારણે જોખમી સ્તરે છે. આ કારણે પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં બાધા આવી રહી છે. તેમણે કહ્યું કે અમે ઘટનાસ્થળે ટીમ સાથે હાજર છીએ. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા છે. 


પીએમ દહલે તમામ સરકારી એજન્સીઓને રેસ્ક્યૂના કામમાં ઉતારી
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમળ દહલે આ દુર્ઘટના પર દુખ જતાવ્યું છે. તેમણે તમામ સરકારી એજન્સીઓને ગૂમ થયેલા મુસાફરોની શોધમાં લાગવા અને પ્રભાવી બચાવ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. દહલે કહ્યું કે નારાયણગઢ- મુગ્લિન સડક ખંડ પર ભૂસ્ખલનમાં બસના વહી જવાથી ગૂમ થયેલા 5 ડઝન જેટલા મુસાફરો અને દેશના વિવિધ ભાગોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે સંપત્તિઓને થયેલા નુકસાનથી ખુબ દુખી છું. હું ગૃહ પ્રશાસન સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ અને પ્રભાવી બચાવના નિર્દેશ આપું છું.