છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી

શાર્પશૂટરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ રેકી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાતના અન્ય નેતાઓ પણ નિશાના પર છે?

છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી

ઝી મીડિયા/બ્યૂરો :ગોરધન ઝડફિયા (gordhan zadafia) ની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યા બાદ એક પછી એક મોટા પર્દાફાશ થઈ રહ્યાં છે. અમદાવાદના રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે 3 વાગ્યે એટીએસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આખરે એક શાર્પશૂટર પકડાઈ ગયો છે, અને અન્ય એક ભાગી છૂટ્યો છે. ત્યારે 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા આ શાર્પશૂટરના નિશાના પર હતા.  ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે. સાથે જ શાર્પશૂટરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ રેકી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાતના અન્ય નેતાઓ પણ નિશાના પર છે. 

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું

કહેવાય છે કે, ગુજરાત પોલીસ સુરક્ષાના મામલે હંમેશા સતર્ક રહે છે. આ પહેલા પણ ગુજરાતમાં બે નેતાઓની હત્યા થઈ હતી. ત્યારે શું ફરીથી ગુજરાતના નેતાઓ છોટા શકીલની ગેંગના નિશાના પર છે તેવા સવાલો ફરીથી ઉભા થયા છે. શું ગુજરાતના અન્ય નેતાઓ પણ વારાફરતી હત્યાના નિશાન પર છે કે નહિ તે અંગે તપાસ શરૂ કરાઈ છે. શાર્પશૂટરના મોબાઈલમાંથી ગાંધીનગર કમલમ કાર્યાલયના વીડિયો પણ મળી આવ્યા છે. તો બીજી તરફ આ ષડયંત્રમાં પાકિસ્તાન તરફથી સોપારી મળી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, ત્યારે સીધી સોઈ દાઉદ ગેંગ અને છોટા શકીલ ગેંગ પર જાય છે. 

તપાસમાં સામે આવ્યું છે કે, ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે શાર્પશૂટર કમલમ પર પણ પહોંચ્યો હતો.  ગોરધન ઝડફિયા રોજ કમલમ પર આવતા હતા. તેથી શાર્પશૂટરે અહી આવીને તેઓની રેકી કરી હોવાની માહિતી બહાર આવી છે. ત્યારે સવાલ એ છે કે, શું ભાજપના અન્ય નેતાઓ પણ છોટા શકીલ ગેંગના નિશાના પર છે. આવામાં સુરક્ષા પર મોટો સવાલ ઉભો થાય છે. ગોરધન ઝડફિયા પર હુમલાના કાવતરા મામલે કેબિનેટમા ચર્ચા થઈ હતી. કેબિનેટ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી વચ્ચે ચર્ચા થઈ હતી. હાલના તબક્કે રાજકીય નેતાઓની સુરક્ષા પર કદાચ રાજ્ય સરકાર કચાશ નહિ રાખે. ભૂતકાળમાં પણ અનેકવાર શાર્પશૂટર આવ્યા હતા તેવા ઈનપુટ મળી ચૂક્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પાંચ-સાત વર્ષ બાદ આ પ્રકારની ઘટના સામે આવી છે. તેથી આ ઘટનાને રાજકીય રીતે જોવાઈ રહી છે. ગોરધન ઝડફિયા સંગઠનના મજબૂત નેતા છે. એક હિન્દુવાદી નેતા તરીકેને તેમની છાપ પણ છે.  ત્યારે પકડાયા બાદ કયો મોટો ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું. આગામી ત્રણ દિવસ ગોરધન ઝડફિયા સીઆર પાટીલની સાથે સૌરાષ્ટ્ર પ્રવાસમાં રહેશે.  

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news