ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું

ગુજરાતમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો શાર્પશૂટર પકડાયો છે

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો મહંમદ રફીક નામનો શાર્પશૂટર પકડાયો છે. ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો. જેને પકડવા ગયેલા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે. જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થયો હતો. જેમાં નેતા ગોરધન ઝડફિયાનું નામ સામે આવ્યું છે. lત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટમાંથી બહાર નીકળી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાતચીત કરી હતી. ગોરધન ઝડફિયા સોમનાથના પ્રવાસે સોમનાથમાં સિક્યુરિટી વધારવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે. તો ફાયરિંગમાં શાર્પશૂટરની અટકાયત કરવામાં આવી છે. તેને લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું, તે ગુજરાતના કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. તેને રિલીફ રોડ પર પકડવા જતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ડીઆઈજી હિમાંશુ શુક્લ, એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કેકે. પટેલ અને ડીવાયએસપી બીપી રોજીયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે કોઈ અધિકારીને ઇજા થઈ ન હતી. આ ઘટનામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કહેવાઈ રહ્યું છે કે, પાકિસ્તાન તરફથી રાજકીય નેતાને મારવાની સોપારી મળી હોવાનું કહેવાય છે. જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાના નામનો ખુલાસો થયો છે. 

છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી

શાર્પશૂટરના મોબાઈલમાંથી ગોરધન ઝડફિયાનું નામ મળ્યું 
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગોરધન ઝડફિયા મુદ્દે કહ્યું કે, રાજ્યના પોલીસને મળેલી માહિતીના આધારે આ ષડયંત્ર પકડાયું છે. એટીએસના ચુનંદા અધિકારીઓને માહિતી મળી હતી કે, છોટા શકીલની ગેંગ ગુજરાતના નેતાઓ પર હુમલો કરવા આવી રહ્યા છે. એટીએસના અધિકારીઓ હોટેલનો ઘેરો નાંખીને મોડી રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો છે. જે કમરના પાછળના ભાગમાં રિવોલ્વર સાથે હતો. તેની ધરપકડ કરવા જતા તેણે રિવોલ્વોરમાંથી પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને ફાયરિંગ કરતા પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની ગોળી ઉપરના ભાગમાં છત ઉપર વાગી હતી. આ શાર્પ શૂટર ભાજપના નેતાઓ ઉપર હુમલો કરવા માટે આવ્યા હતા. તેમાં એક વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે. તેની તપાસ ચાલુ છે. બીજો વ્યક્તિ પકડાયો નથી. તેની તપાસ ચાલુ છે. ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કાંઠો જમીન સરહદ સાથે જોડાયેલો છે. અવારનવાર આ પ્રકારની માહિતીઓ આવીને રાષ્ટ્રીય નેતાઓની હુમલો કરવાના ષડયંત્ર કરવાના માહિતી મળતી હોય છે. તે માહિતીના આધારે પોલીસ અધિકારીઓ ઓપરેશન કરતા હોય છે. શાર્પશૂટરના મોબાઇલના ટેકનિકલ ડેટામાં ગોરધનભાઈ ઝડફિયા અને અન્ય વિગતો ઉપલબ્ધ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મોબાઇલના ડેટામા ગોરધન ઝડફિયાનું નામ છે. ત્યારે ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવા માટેસૂચના આપવામાં આવી છે. શાર્પશૂટરના મોબાઈલમાંથી ગાંધીનગર કમલમ કાર્યાલયના વીડિયો પણ મળી આવ્યા છે. 

ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી 

શાર્પશૂટર પાસેથી આધુનિક શસ્ત્રો વેપન મળી આવ્યા છે. શાર્પશૂટર મહારાષ્ટ્રથી આવ્યો હતો. છોટા શકીલ ગેંગનો આ શાર્પ શૂટર હતો, જે રિલીફ રોડ પર આવેલ વિનસ હોટલના રૂમ નંબર 105માં રોકાયો હતો. પોલીસ પકડવા આવતા તેણે ફાયરિંગ કર્યું હતુ. તો આ અંગે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ મીડિયાને જણાવ્યું કે, મને કોઈ માહિતી ન હતી. મને આ વિશે ફોન દ્વારા માહિતી મળી છે. અગાઉ મને ધમકીઓ મળી ચૂકી છે. વલસાડ નવસારી જિલ્લામાં મારા પ્રવાસ દરમિયાન મને ધમકીઓ મળી હતી. તે અંગે મેં લેખિતમાં ગૃહમંત્રીને જાણ કરી હતી. હાલ મને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બે નેતાઓની દિનદહાડે હત્યા કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર કનેક્શન ખૂલ્યુ હતું. 

ગુજરાતનું સુરક્ષા તંત્ર સતત સતર્ક રહે છે. જેના પરિણામે ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરુ નિષ્ફળ બનાવાયું હતું. એટીએસ પર ફાયરિંગ કરનાર શાર્પ શૂટર ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા માટે ગુજરાતમાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલ ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરવાની સૂચના અપાઈ, હાલ તેઓ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સાથે સોમનાથના પ્રવાસે છે.  ગુજરાતમાં ગોધરાકાંડ થયો ત્યારે ગોરધન ઝડફિયા ગુજરાતના ગૃહમંત્રી હતા, ત્યારે કયા હેતુથી તેમની હત્યાનું ષડયંત્ર કરાયું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. 

ષડયંત્રને ઉકેલવામાં કેન્દ્રીય એજન્સીઓ પણ કામે લાગી

ગોરધન ઝડફિયા પર હુમલાના નિષ્ફળ કાવતરાના ઘટનામાં કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક બની છે. કેન્દ્રીય એજન્સીઓ સ્થાનિક એજન્સી સાથે સંપર્ક કરી પ્રાથમિક વિગતો મેળવી રહી છે. પકડાયેલ શાર્પશૂટરના મોબાઈલની સાયન્ટિફિક તપાસ કરવામાં આવશે. FSL દ્વારા મોબાઈલમા અત્યારસુધી ઉપયોગમાં લેવાયેલા સીમની પણ તપાસ કરવામાં આવશે. તેમજ મોબાઈલમાંથી ડિલીટ કરવામાં આવેલા ડેટા મેળવવા પણ પ્રયાસ કરાશે. આરોપી અમદાવાદ કઈ રીતે આવ્યો, હોટલ પાસેના સીસીટીવી ફૂટેજ અને અમદાવાદના સંપર્કોની પણ તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત આરોપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પણ વિગતો મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે. સાયન્ટિફિક તપાસ માટે વિશેષ ટીમ કામે લાગી છે. Ats અને ક્રાઈમ બ્રાન્ચે પણ વિશેષ ટુકડી બનાવી તપાસ આદરી છે. ગુજરાત બહાર તપાસનો ધમધમાટ શરૂ થશે. 

ઘટનાની વધુ અપડેટ કરતા રહીશું....

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news