આજે પીએમ મોદી સુરત અને ઐતિહાસિક દાંડીના પ્રવાસે, 4 કાર્યક્રમોમાં હાજરી આપશે

નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે.

આજે પીએમ મોદી સુરત અને ઐતિહાસિક દાંડીના પ્રવાસે, 4 કાર્યક્રમોમાં હાજરી આપશે

સુરત: ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે. પીએમ મોદી આજે સુરતમાં પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. આવતીકાલે તેઓ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ચાર સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેમણે દાદરાનગર હવેલીમાં કેટલાક કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે જાણી લો આજનો તેમનો કાર્યક્રમ...

- બપોરે દોઢ વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કરશે અને શાહજહાં-સુરત ફ્લાઈટને ટેકઓફ કરાવશે. તેઓ સુરત મનપાના કાર્યોનું પણ લોકાર્પણ, શિલાન્યાસ કરશે
- એરપોર્ટથી રામપુરા જશે. જ્યાં તેઓ વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે
- રામપુરાથી એરપોર્ટ પર આવીને બપોરે નવસારીના દાંડી ખાતે જશે. દાંડીમાં મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.
- સાંજે દાંડીથી ફરી સુરત ખાતે આવશે. 
- સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં હાજરી આપશે. જ્યાં તેઓ 15000 પ્રોફેશનલ સાથે સંવાદ કરશે. અહીં તેઓ રિવોલવિંગ સ્ટેજ પરથી લોકો સાથે વાતચીત કરશે.
- સાંજે સાડા સાત કલાકે સુરતથી દિલ્હી જવા રવાના થશે. 

દાંડી મ્યૂઝિયમની ખાસિયત
- દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો
- ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા
- 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે. 
- સરોવરની આજુબાજુ પાથ-વે બનાવાયા છે. પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા, પાર્કિગ, લાઈબ્રેરી, હોલ વગેરે જેવી સુવિધાઓ મૂકાઈ છે.
- ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે. 
- 40 મીટરનો ઊંચો ક્રિસ્ટલ ટાવર પણ ઉભો કરવામાં આવ્યો છે. જે ક્રિસ્ટલ ટાવર દીવાદાંડીનુ પણ કામ કરાયું છે. 
- ટાવરની નીચે પંચધાતુની મહાત્મા ગાંધીજીની 15 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે.
- વિશાળ સોલાર પાર્ક બનાવાયો છે, જેમાં 41 સોલાર ટ્રી લગાવવામાં આવ્યા છે. આ સોલાર ટ્રીઝ દ્વારા ઉત્પન્ન થનારી વીજળીનો સ્મારકમાં ઉપયોગ કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news