બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પરિસ્થિતિ વણસી જઈ રહી છે ત્યારે આ અંગે હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી છે. હાઈકોર્ટે (gujarat highcourt) ગુજરાત સરકારને નિર્દેશ આપતા કહ્યું કે, ગુજરાતમાં લોકડાઉન અથવા કરફ્યૂ (curfew) લાવવો જોઈએ. સરકાર આજની તારીખમાં પગલાં લે. ત્યારે હાઈકોર્ટના આ નિર્દેશથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સૌથી વધુ ફફડાટ વેપારીઓમાં ફેલાયો છે. ત્યારે ઝી 24 કલાકે લોકડાઉન (lockdown) કે કરફ્યૂ અંગે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર ફક્ત લોકડાઉનને વિકલ્પ ન ગણે - વેપારીઓ 
હાઇકોર્ટના નિર્દેશ પર અમદાવાદના વેપારીઓએ જણાવ્યું કે, હાઈકોર્ટે જે કહ્યું તે યોગ્ય જ હશે. પણ લોકડાઉન વિકલ્પ નથી. લોકડાઉન શબ્દથી લોકો ડરી જાય છે. કેસો વધ્યા તે પણ હકીકત છે અને બધાને ખબર જ છે. સરકાર વિકેન્ડ કરફ્યૂ કે અન્ય વિકલ્પો પર વિચાર કરે એ જ અપીલ છે. લોકડાઉન થશે તો વેપારીઓ અને કારીગરોની હાલત ખરાબ થશે. સરકાર ફક્ત લોકડાઉન (gujarat lockdown) ને વિકલ્પ ન ગણે. લોકડાઉન કરવાથી કેસ ઘટતાં નથી, આ પહેલા પણ લોકડાઉન કર્યું હતું. કેસો તો સતત વધે જ છે, લોકોએ સમજવાની જરૂર છે. કડક નિયમો સાથે પાલન કરાવવું જરૂરી છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં 3-4 દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, કહ્યું-કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે


લોકો જીવના જોખમે બહાર ન નીકળે
બીજી તરફ, લોકડાઉનના ભયથી નાગરીકો કરિયાણું ખરીદી ઉમટી પડ્યા છે. અનેક મોલમાં લોકો જીવન જરૂરિયાતી વસ્તુઓ ખરીદવા ઉમટયા હતા. પરંતુ લોકો આ રીતે ભીડ ભેગી ન કરી તે જરૂરી છે. ગુજરાતમાં લોકડાઉન કે કરફ્યૂ હજી લગાવવામાં આવ્યું નથી, હાઈકોર્ટે માટે નિર્દેશ આપ્યા છે. ત્યારે આ રીતે જીવને જોખમમાં મૂકીને બહાર નીકળવાથી કોરોના વધુ વકરી શકે છે. 


કોરોના વિસ્ફોટને અટકાવવા નક્કર પગલા જરૂરી - હાઈકોર્ટ 
ગુજરાતમાં લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે. 


આ પણ વાંચો : લક્ષણો વગરનો કોરોના 13 વર્ષના સુરતી બાળકને ભરખી ગયો, માત્ર 5 કલાકમાં ગયો જીવ


લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવો 
વધતા જતા કેસની સાથે કોરોના સ્વરૂપ બદલી રહ્યો છે.  સાથે જ કોરોનાના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. સાથે જ તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણ તાવ, શરદી છે. પરંતુ નવા મ્યુટેશનમાં લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. જેના કારણે લોકો સમયસર ટેસ્ટ નથી કરાવતા અને તેમનામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. જેનાથી બચવા માટે વિશેષજ્ઞો સલાહ આપી રહ્યા છે કે થોડા પર લક્ષણો દેખાય કે તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો વહેલી તકે કોરોનાનું નિદાન થશે તો તેનો ઈલાજ કરવામાં સરળતા રહેશે.


આ પણ વાંચો : એકમાત્ર ફોકસ કોરોના પર, ગુજરાત સરકારના આ 7 નિર્ણય વાયરસને હંફાવશે