ઝી ન્યૂઝ/રાજકોટ: ભજન કલાકાર હેમંત ચૌહાણને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હીથી એવોર્ડ મેળવી તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે પરિવાર અને સંબંધીઓ દ્વારા તેમને એરપોર્ટ ખાતે આવકારવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હેમંત ચૌહાણનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમના પ્રશંસકોએ એરપોર્ટ પર પુષ્પહાર પહેરાવી અને તેમનું સ્વાગત કર્યું હતું, તો ઢોલ નગારાના નાદ સાથે તેમના વતન રાજકોટમાં આવકારવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં ભજનીક તરીકે પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હેમંતભાઈ ચૌહાણે ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેં જે પણ ભજન ગાયા તે સાર્થક થયા, મે બધું જ ગાયું હોત તો કદાચ એવોર્ડ ન મળત. પરંતુ મેં સંતોની વાણીને પકડી રાખી એટલે મારા ઉપર સંતોની કૃપા થઈ અને મને એવોર્ડ મળ્યો છે. ભજન સાથે જે કલાકાર હિન્દી ગીતો ગાતા હોય છે, તેમના પર ઇશારામાં હેમંત ચૌહાણએ કટાક્ષ કર્યો હતો.



તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પદ્મશ્રી એવોર્ડ મેળવવા માટે ભારતભરના વિદ્વાનો દિલ્હી આવ્યા હતા. તેમની સાથે રહેવાનો અવસર મળ્યો કે ખૂબ જ મોટી વાત છે. રાષ્ટ્રપતિ જ્યારે આપણું સન્માન કરે ત્યારે તે ખૂબ જ ગૌરવની વાત કહેવાય છે. આ સાથે જ તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.


તમને જણાવી દઇએ કે, હેમંત ચૌહાણ છેલ્લા કેટલાક દસકાઓથી ભજન ગાય છે. તેઓ વધુ સંત દાસી જીવણના વધુ ભજનો તેમને પસંદ છે અને એટલા માટે જ અલગ અલગ ડાયરાના કાર્યક્રમ દરમિયાન દાસી જીવણના ભજનો પણ ગાતા નજરે પડતા હોય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક સંતો દ્વારા લખાયેલા ભજનો પણ ગાતા હોય છે. તેમને મળેલા એવોર્ડના કારણે રાજકોટ સહિત ગુજરાતના લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.