Rupala controversy : અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ હજુ શાંત થયો નથી. કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા આ ઘટના બાદ બે વખત માફી માંગી લેવામાં આવી છે. જ્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે પણ આ મામલે માફી માંગી હતી. પરંતુ રાજ્યભરમાં આ વિવાદ સતત વકરી રહ્યો છે. હવે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા વિવાદને લઈ સૌથી મોટા સમાચાર ઝી ૨૪ કલાક પર 
રૂપાલા વિવાદમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્ર ભાજપના એવા નેતાઓ રૂપાલા વિવાદમાં સંડોવાયેલા છે જે હાલમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. આ વિવાદમાં રૂપાલા સાથે વર્ષો જૂની અદાવત ધરાવનારા નેતાઓની સંડોવણી સામે આવી છે. 4-5 નેતાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં રૂપાલાના વધતા કદને ધ્યાનમાં રાખી જૂની અદાવતમાં આ વિવાદ સર્જયો છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં કેવો છે ચૂંટણીનો માહોલ? વાંચો રાજકીય પાર્ટીઓની ઓફિસથી ખાસ રેકોર્ડ


પાર્ટી કરી શકે છે કાર્યવાહી
રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેઓ રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે સામે આવ્યું કે ભાજપના મોવડી મંડળને સમગ્ર મામલે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ભાજપ તરફથી સમગ્ર વિવાદની તપાસ પણ કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના કેટલાક નેતાઓને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી આ નેતાઓ સામે શિષ્ટાત્મક કાર્યવાહી કરી શકે છે. આ પ્રકરણમાં તો ભરત બોઘરાએ સામેથી આવીને ખુલાસા કર્યા છે કે તેઓ આ પ્રકરણમાં સંડોવાયેલા નથી. એક ભૂતપૂર્ન સીએમને બદનામ કરવા ષડયંત્ર રચાયું હોવાની આશંકા છે. લોકસભા બાદ પાર્ટી એક્શનમાં આવી શકે છે. 


વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા ભરશે ફોર્મ
રાજકોટમાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલે કહ્યું કે, 16 એપ્રિલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવશે. જંગી સભા બાદ રૂપાલા ફોર્મ ભરવા જશે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા ઉમેદવારી નોંધાવશે. રાજકોટમાં આશરે 25 હજાર જેટલા કાર્યકરોની હાજરીમાં રૂપાલા રાજકોટથી પોતાની ઉમેદવારી નોંધાવશે. 


આ પણ વાંચોઃ 44 વર્ષમાં ગુજરાતમાં ભાજપ કેવી રીતે બની ગયું 'અજેય', કોંગ્રેસ ખાતું નથી ખોલી શકતી


શું કહ્યું હતું રૂપાલાએ?
રૂપાલાએ થોડા દિવસ પહેલાં એક સભામાં કહ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન રાજાઓ અને મહારાજાઓએ પોતાનું માથું ઝુકાવી દીધું હતું અને તેમની સાથે રોટી-બેટીનો સંબંધ બનાવી લીધો હતો, પરંતુ દલિત સમાજથી આવનારા રુખી સમાજે પોતાનું માથું નહોતું નમાવ્યું. એટલા માટે તેમને હું સલામ કરું છું અને આ જ વાત હતી, જેણે સનાતન ધર્મને જીવિત રાખ્યો… જય ભીમ... રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. રૂપાલા 3 વાર માફી માગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ કાપવાની વાત પર અડગ રહ્યો છે. જેને પગલે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયો પણ નારાજ છે.