હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામો ટ્રાન્સપેરન્સીથી અને પ્રો-એક્ટિવલી કરીને જ ગુડ ગર્વનન્સનો ધ્યેય પાર પાડી શકાશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકશાહિ શાસનમાં બંધારણમાં નિહિત અધિકારો-ફરજોના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારીને પૂરી નિષ્ઠાથી, ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા,  આકાંક્ષા સંતોષી સરકારની ઉજ્જવળ ઇમેજ-છબિ-પરસેપ્શન પ્રજા માનસમાં જિલ્લા અધિકારી તરીકે તમે જ બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના રાજ્યભરના કલેકટરો-ડી.ડી.ઓ.ની સંયુકત એકદિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આ પરિષદમાં જોડાયા હતા.


આ પણ વાંચો:- હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાક જોવા મળશે વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ


મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતાં એમ પણ જણાવ્યું કે, હવે વિશ્વમાં બનતી કોઇ પણ સારી બાબતો ટેકનોલોજી-ઇન્ટરનેટ-વેબસાઇટ જેવા માધ્યમોથી તરત લોકો સુધી પહોચી જાય છે. લોકો પણ હવે આવી સારી બાબતો કે કાર્યોનો લાભ પોતાને પણ મળે તેવી અપેક્ષા સાથે ગુડ ડિલીવરીઝની માંગ રાખતા હોય છે. આવા બદલાયેલા સંજોગોમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાની આગવી સૂઝથી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નિભાવવું પડશે તો જ કાર્યસંસ્કૃતિ વર્કકલ્ચરમાં બદલાવ થશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવનિયુકત કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની આ પરિષદને સહચિંતન-સામૂહિક મંથન અને આગામી દિવસોમાં ગુજરાત માટે વિકાસની દિશાસૂચક ગણાવી હતી. તેમણે કોરોના-કોવિડ-19 ના કપરા કાળમાં દિવસ-રાત કાર્યરત રહીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે અધિકારીઓ અને ટીમ ગુજરાતની કર્તવ્યનિષ્ઠાને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ જ સ્પિરીટ અને મિશન મોડ સાથે સતત કાર્યરત રહેવા મુખ્યમંત્રીએ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડયા હતા.


આ પણ વાંચો:- ગુજરાતમાં વેક્સીનેશનના દાવાનો ફિયાસ્કો: ક્યાંક જથ્થો નથી તો ક્યાંક લોકો વેક્સીન લેવા નથી જતાં


મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સરકાર મુખ્યત્વે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભ પર કાર્યરત છે ત્યારે સરકારની બધી યોજનાઓ આ પિલ્લરના આધારે કાર્યાન્વિત થાય, છેવાડાના ગામડાના માનવી સુધી તેનો લાભ પહોચે અને છેક નીચલા સ્તર સુધી ગૃડ ગર્વનન્સ-ટ્રાન્સપેરન્ટ ગર્વનન્સનું પરસેપ્શન વિસ્તરે તે જિલ્લાના વહિવટી વડા તરીકે તેમનું દાયિત્વ બને છે.


‘‘આપણે પ્રજાના કલ્યાણ માટેના ઇશ્વરીય કાર્ય માટે સેવારત થયા છીયે’’ એમ જણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સામાન્ય માનવી પ્રત્યેની સંવેદના, પેન્ડીંગ કામો ત્વરાએ પૂરા કરવા અને ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનના ધ્યેય સાથે જો જિલ્લાના વડા તરીકે ઇનીશ્યેટીવ લેવાશે તો તેની દૂરોગામી અસરો ફિલ્ડના સ્ટાફ અને અન્ય કર્મયોગીઓ પર પણ પડતાં સમગ્ર સરકારની ઇમેજ-છબિ વધુ ઉજળી થશે.


આ પણ વાંચો:- બનાસકાંઠા અકસ્માત: નેશનલ હાઈવે નં-27 પર ધડાકાભેર ટ્રેલર અથડાતા કારનો બોલાયો ભુક્કો


મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડ ગર્વનન્સ-સુશાસનનું મોડેલ ગુજરાતને આપેલું છે. ગુજરાત તેના આધારે વિકાસના રાહે પૂરપાટ આગળ વધ્યું છે ત્યારે હવે તેને વધુ ઉન્નત અને વેગવંતો બનાવવાની જવાબદારી આ નવયુવાન જિલ્લા અધિકારીઓના શિરે છે. ગુજરાત કેડરમાં મળેલા પોસ્ટિંગની તકને કેરિયરની શરૂઆતના આ દિવસોમાં જ વધુ પ્રો-એક્ટિવ ઇફેક્ટિવ બનાવીને ગુજરાતની વિકાસ યાત્રામાં કે રાજ્યની ગુડ ગર્વનન્સ દિશામાં કોઇ ઉણપ ના આવે તે રીતે નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતું.


તેમણે લોકોને સેવાઓ ઓનલાઇન મળી રહે અને કચેરીમાં ધક્કા જ ન ખાવા પડે તેવી સ્થિતી સર્જવા સાથોસાથ યોજનાઓના અમલીકરણના લક્ષ્ય સિદ્ધ કરવા પણ તાકિદ કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે, સરકાર કે અધિકારીઓ જાડી ચામડીના નહિ પરંતુ લોકોની વેદના-સંવેદના પ્રત્યે સંવેદનશીલ અને સજાગ છે. તેમના કામો ઝડપથી થાય છે અને ખોટું કરનારાઓને ચલાવી લેવામાં આવતા નથી એવો જનમાનસમાં વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કોઇ પણ ઢિલાશ કે કચાશ વગર જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરો-ડી.ડી.ઓ પાસે અપેક્ષિત છે.


આ પણ વાંચો:- સુરતના એન્જિનિયરે 15 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યો આ ફોર્મ્યુલા, પેટ્રોલ કરતા વધુ માઈલેજ આપશે આ કાર


મુખ્યમંત્રીએ કહ્યું કે સોશિયલ મિડીયા, ઇ-મિડીયાના આજના ચેલેન્જીંગ યુગમાં કલેકટરો-વિકાસ અધિકારીઓએ જનહિત-લોકસેવાના કામોમાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને યુવા પેઢીની અપેક્ષાની એરણે ખરા ઉતરવાનું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અધિકારીઓને એમ પણ જણાવ્યું કે, લોકહિત-જનસેવાના કોઇ કામમાં બોનાફાઇડ મિસ્ટેક થઇ હશે તો સરકાર તેમની પડખે રહેશે પરંતુ ઇરાદાપૂર્વકની ખોટી-મેલાફાઇડ મિસ્ટેકસને કયારેય ચલાવી લેવાશે નહિ.


તેમણે રાજ્યનાં નાગરિકોને કાયદો વ્યવસ્થાની સલામતિ-સુરક્ષાની અનૂભુતિ થાય તે માટે ગુંડા ધારા, લેન્ડ ગ્રેબિંગ એકટ, બળજબરીથી ધર્માંતરણ-લવ જેહાદ જેવા કાયદાઓના કડક પાલન માટે પણ જિલ્લા કલેકટરોને અનુરોધ કર્યો હતો. વિજય રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના બધા જ ડેટા સમયસર ફિડ થાય તે માટે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કરતાં ઉમેર્યુ કે, રિયલ ટાઇમ મોનિટરીંગ અને ડે-ટુ-ડે ડેટા ફિડીંગથી કી ઇન્ડીકેટર્સ જિલ્લાના પરફોમન્સનો આધાર છે તેને વધુ સુદ્રઢ કરવાની આવશ્યકતા છે.


આ પણ વાંચો:- રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા કોર્ટમાં જશે વાલી મંડળ, માસ પ્રમોશન આપવા કરશે PIL


વિજય રૂપાણીએ જિલ્લા તંત્રના આ વડાઓ અને તેમની ટીમના પરફોર્મન્સથી જ આમ જનતામાં સરકાર પ્રત્યેની ઇમેજ પરસેપ્શન બનતું હોય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરી વધુ વ્યાપક બનાવવા પણ તાકીદ કરી હતી. તેમણે સૌ નવનિયુકત યુવા અધિકારીઓને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રો-એક્ટિવ-એર્સટીવ બનીને કાર્યરત થવાનો સંકલ્પ કરવાનું પણ આ પરિષદમાં પ્રેરક આહવાન કર્યુ હતું.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પરિષદમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વિભાગોના નિર્ણયોની અમલવારીમાં કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા મહત્વની છે. તેમણે કહ્યું કે, જિલ્લાઓમાંથી ફિડબેક અને કામગીરીના સંદર્ભમાં ફોલોઅપની સુદ્રઢ વ્યવસ્થાઓની જિલ્લા તંત્રના વડા તરીકે તેમની પાસેથી અપેક્ષા હોય છે ત્યારે એમાં કોઇ ઢિલાશ ન રહે તે જરૂરી છે.


આ પણ વાંચો:- ગુજરાત હાઈકોર્ટે પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી, સહ આરોપીના મંજૂર કર્યા આગોતરા જામીન


નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ અધિકારીઓ ફિલ્ડ વિઝીટ દરમ્યાન તેમના જિલ્લામાં ચાલતા કે પ્રગતિ હેઠળના વિકાસ કામો, માર્ગ-મકાનના કામો, CHC, PHC, સ્વચ્છતા અભિયાનના કામોની ઓચિંતી મૂલાકાત લઇ ગુણવત્તાની અને કામગીરીની સમયાંતરે તપાસ કરતા રહેશે તો પણ સંબંધિત વિભાગોની સતર્કતા-સજ્જતા વધશે. નીતિનભાઇ પટેલે સ્પષ્ટ જણાવ્યું કે, ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું જે સ્થાન પ્રસ્થાપિત કરેલું છે તેને આગળ ધપાવવા સૌ ટીમ ગુજરાત તરીકે સાથે મળીને કાર્ય કરીએ.


આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ-19 થર્ડ વેવ સામેની જિલ્લાતંત્રોની સજ્જતાના એકશન પ્લાનનું વિમોચન પણ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ કર્યુ હતું. મુખ્ય સચિવ અનિલ મુકિમે પ્રારંભમાં પરિષદનો ઉદેશ્ય સ્પષ્ટ કરીને રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ, વેક્સિનેશન ડ્રાઇવ, ફલેગશીપ પ્રોગ્રામ્સ વગેરે અંગે નવનિયુકત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.


આ પણ વાંચો:- વડોદરા લવ જેહાદ કેસ: આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયા, પીડિતાનું નોંધાશે નિવેદન


આ પરિષદમાં ડિઝીટલ સેવાસેતુ, કોવિડ-19માં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી કામગીરી, નલ સે જલ અને મહેસૂલી કામગીરીમાં ટેકનોલોજીયુકત ક્રાંતિના પ્રેઝન્ટેશન સંબંધિત વરિષ્ઠ સચિવોએ કર્યા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ રાજ્ય સરકારના વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, સચિવો આ પરિષદમાં જોડાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube