ઉપલેટા : તાલુકાના લાઠ ગામમાં ઉભા પાકનું ધોવાણ થતાં જગતનો તાત પરેશાન થયો છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહની વરસાદ અવિરત ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. પણ કેટલીક જગ્યાએ આ મહેર કહેર બનીને પણ વરસી છે. સતત વરસી રહેલા મેઘાને કારણે જળાશયો છલકાયા છે. નદીઓમાં પુર આવ્યા છે. આથી ખેતરો જળબંબાકાર થઇ ગયા છે, ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંનાં ખેતરોમાં પાણી ભરાતા પાકનો નાશ થયો છે અને જમીનનું ધોવાણ થયું છે. ZEE ૨૪ કલાકની ટીમ ઉપલેટા તાલુકાના લાઠ ગામ પહોંચી હતી અને ખેડૂતોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપેલટા તાલુકાનું લાઠ ગામ જેમની ઉપરવાસમાં ભાદર 2, મોજ, વેણુ નદીના ડેમ હોવાથી પાણી ભરાતું હોય છે પરતું હજુ આ ડેમો છલકાયા નથી એ પહેલાં ભારે વરસાદના કારણે ગામ સુધી પાણી પહોંચી ગયા હતા તેમજ આજુબાજુના ગામના ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણ નાશ પામતા ખેડૂતોએ વળતર આપવા સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામના વાડી વિસ્તારના આશરે 300 વીઘામાં વાવેતર કરવામાં આવેલ મગફળી, કપાસ, સોયાબીન સહિત ચોમાસુ પાકનું સંપૂર્ણ જમીન ધોવાઈ જવાથી પાક નિષ્ફળ ગયો છે. વરસાદ પડતાં ખેડુતોને મોટું નુક્સાન થયું છે. વરસાદના કારણે ઉગેલા પાકનો સોથ વળી ગયો છે. ખેડૂતોને પાયમાલ કર્યા છે. આ વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે. 


હાથમાં આવેલ પાક નિષ્ફળ જતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડુતોએ મોંધા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવા લીધી હોય છે. જે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા પાકને ભારે નુકસાન થયું છે ત્યારે હવે આ વરસાદ મજાનાં બદલે સજા આપી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોમાં 16 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને ખૂબજ નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીનો પાક બગાડ્યો છે. મગફળીના કોટા પાણી સાથે વહી ગયા છે ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 


મગફળી સાથે અન્ય પાકને નુકસાન થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. એક તરફ ચોમાસું હોવાથી વરસાદની માગણી કરી રહ્યા હતા પરંતુ હવે આ જ વરસાદ તેને તકલીફ આપે છે અને વરસાદી પાણીથી ધોવાતી જમીન અને બગડતાં જતાં પાકને લઈને ચિંતાનું કારણ બની રહ્યા છે. જ્યારે બીજી તરફ અન્ય પાકોને નુકસાન જતાં રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના પાકના નુકસાનીનો સર્વે હાથ ધરી સહાય આપવી જોઈએ તેવી માંગ કરી હતી.


બીજી તરફ વરસાદ પડતા લાઠ ગામ સંપર્ક વિહોણુ બની જાય છે. ભારે વરસાદને પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ અંગે અનેક વખત રજુઆત કરાઈ પણ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાઠ ગામની બાજુમાં જ ભાદર નદી નિકળતી હોવાથી પૂરનો પણ ભય રહે છે. જેથી ગામમાં અંદર પ્રવેશ કરવા માટે કોઝવેને ઊંચો કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતોએ કરી છે. જો આગામી સમયમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube