હકીમ ઘડિયાળી/છોટાઉદેપુર :આ વર્ષે ઉનાળામાં લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધી રહ્યાં છે. વીસનગર, ભાવનગર, સુરત બાદ હવે છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગે એકસાથે ઢગલાબંધ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગે જમણવારમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુરમાં કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગે જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. એક પરિવારમાં દીકરીના લગ્ન પ્રસંગે વડોદરાથી જાન આવી હતી. જેમાં બપોરના જમણવાર બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થવાની શરૂઆત થઈ હતી. એક પછી એક લોકોને અસર થતા તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને પગલે જિલ્લાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતું. 


એક પછી એક એમ 200 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. વડોદરાથી આવેલા જાનૈયાઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી. ત્યારે સ્થાનિક હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ વધતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા. 


સાંજના છ વાગ્યાથી દર્દીઓને હોસ્પિટલમાં લાવતા અત્યારસુધી દર્દીઓનો આંકડો 200 સુધી પહોંચ્યો છે. આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ હતી અને જિલ્લાની અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટર અને નર્સ બોલાવાયા હતા, જેથી તમામને સારવાર આપી શકાય. જોકે હાલ તમામની હાલત સ્થિર હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.