તેજશ મોદી/ચેતન પટેલ/સુરત :કોરોના મામલે અમદાવાદ કરતા સુરતના હાલ બેહાલ છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 954 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 292, અમદાવાદમાં 247, વડોદરામાં 109 અને રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ કેસ આવવાને પગલે તંત્ર એલર્ટ થયું છે. જેમા શાળા-કોલેજની સાથે કાપડના માર્કેટ પણ બંધ કરાયા છે. તો બીજી તરફ, સુરત પોલીસના નામે ખોટો લેટર વાયરલ કરવામાં આવ્યો છે. જે અંગે ગુનો દાખલ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પોલીસના નામે એક પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકડાઉન મૂકાવવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ પત્ર ખોટો હોવાનુ સામે આવ્યું છે. પત્રમાં ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે...’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂનો સમય વધાર્યા બાદ આ પત્ર વાયરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે પત્રમાં જે અધિકારીનું નામ હતું તે પણ ખોટું હતું. ત્યારે પોલીસ કમિશનરના આદેશથી સાઈબર ક્રાઈમે ગુનો નોંધ્યો છે. 


આ પણ વાંચો : બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...


સ્મીમેર હોસ્પિટલ અને સમરસમાં ફરી કોવિડ હોસ્પિટલ બનશે. મ્યુ. કમિશનર દ્વારા કોવિડ હોસ્પિટલના તૈયારીની સૂચના અપાઈ છે. કોરોનાના કેસો વધતા તૈયારીઓ આરંભાઈ છે. જેમાં કોરોના દર્દીઓ માટે તમામ સુવિધા ફરી ઉભી કરાશે. આ ઉપરાંત કરફ્યૂને પગલે સુરતમાં એસટીને 10 વાગ્યા બાદ શહેરમાં પ્રવેશ નહિ મળે. અન્ય જિલ્લાઓમાંથી સુરત આવતી બસોને આ નિયમ લાગુ પડશે. જેથી આજથી અપડાઉન કરનારા મુસાફરોને હાલાકી પડશે.



સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસો વધતા સરથાણા ખાતે આવેલા નેચર પાર્કને પ્રવાસીઓ માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે. બીજો આદેશ ન થાય ત્યાં સુધી નેચર પાર્ક હવે બંધ રહેશે. તેમજ આજથી સુરતમાં ટયુશન ક્લાસિસ પણ ઓનલાઈન ચાલશે. કોરોના વકરતાં આરોગ્ય વિભાગે આ આદેશ આપ્યો છે. આજથી સાત દિવસ માટે આદેશ કરાયો છે.