ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ પ્રવર્તી છે. ત્યારે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદથી થયેલી નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 4 લાખની સહાય નક્કી કરવામાં આવી છે. જ્યારે મકાન તૂટવાના કિસ્સામાં પણ સહાયની જાહેરાત કરાઈ છે. જેમાં સમતલ વિસ્તારમાં મકાન તૂટ્યું હોય તો 95,100 અને પર્વતિય વિસ્તારમાં મકાન તૂટ્યું હોય તો 1,01,900 સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઝૂંપડું તૂટ્યું હોય તો 4,100 સહાય આપવામાં આવશે. 


એ જ રીતે દુધાળા પશુના મોતના કિસ્સામાં 30 હજારની સહાય નક્કી કરવામાં આવી છે. તેમાં પણ ઘેટા અને બકરાના મોતના કિસ્સામાં 3 હજાર સહાય, જ્યારે બળદ, ઊંટ અને ઘોડાના મૃત્યુના કેસમાં 25 હજાર સહાય આપવામાં આવશે. ગાયની વાછરડી અને ગધેડાના મૃત્યુ પર 16 હજાર સહાય આપવાનો નિર્ણય કરાયો છે. મરઘા પશુ સહાય 50 રૂપિયા પ્રતિ પક્ષી અને વધુમાં વધુ 5 હજાર રૂપિયાની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે. 


મહત્વનું છે કે, સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદથી નુકસાનીમાં થયેલા સહાયની જાહેરાત બાદ તારાજીની વિગતોમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 31 માનવ મૃત્યુ થયા છે. સ્થળાંતર થયેલ વ્યક્તિઓ 23945 ઘરે પહોંચી ગયા છે. જ્યારે આશ્રયસ્થાનમાં 7090 લોકો છે. ભારેથી વરસાદથી રાજ્યમાં 810 જગ્યાએ વીજળી ગઈ હતી, જેમાં 36 ગામો જ બાકી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અકુદરતી મૃત્યું, વીજળી પડવાથી કે અન્ય રીતે મોત થયું હશે તેમને પણ સહાય મળશે.


તેમણે ઉમેર્યું હતું કે, ભારે વરસાદના કારણે રાજ્યના અનેક રૂટ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ St રૂટ મોટા ભાગના શરૂ થઈ ગયા છે. કેશડોલ માટે વરસાદ જ્યાં બંધ થયો છે ત્યાં ઝડપથી સર્વે ચાલુ કરવાની સૂચના આપી છે. પર્વતીય વિસ્તારમાં ઘર પડી ગયા હોય તેમને 1 લાખ 1 હજાર જેટલી સહાય મળશે. જ્યારે ઝુંપડા માટે 4100 સહાય આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube