જમીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ હેઠળની વધુ એક મોડેલ શાળા સંકુલ એવા કવાંટના ગોઝારીયા ખાતે ભોજનની સમસ્યાને લઈ વિદ્યાર્થીનીઓ હોબાળો માચાવ્યાની ઘટના બની છે. રાજ્યના આદિજાતિ વિભાગ હેઠળ સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નસવાડીની લિંડા ટેકરા મોડેલ શાળા સંકુલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજનની સમસ્યાને લઈ માચાવેલા હોબાળાના પડઘમ હજુ શાંત પડ્યા નથી, ત્યાં વધુ એક શાળા સંકુલમાં ભોજનની સમસ્યાને લઈ વિદ્યાર્થીનીઓ થાળીઓ વગાડી હોબાળો (protest) મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કવાંટ નજીક આવેલ ગોઝારીયા સંકુલમાં ચાલતી પાંચ જેટલી વિવિધ નિવાસી અને મોડલ શાળા સંકુલમાં ગઈકાલે કેટલીક વિદ્યાર્થીનીઓને ભોજન જ ન મળ્યું. તેમને ભોજનને બદલે પારલે બિસ્કિટ આપવામાં આવ્યા હતા. ત્યારે રોજની તેમની આ ભોજન ખૂટી જવાની અને અપૂરતું ભોજન આપવાની તેમજ ગુણવત્તા વિનાનું ભોજન અપાતું હોવાની સમસ્યાને લઈ વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા થાળીઓ વગાડી ‘હમારી માંગે પુરી કરો’ ના સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.


આ પણ વાંચો : ગુજરાતને બચાવી લો... આવા લોકોને કારણે ફેલાય છે કોરોના, જાહેરમાં કહી દીધું કે...


બુધવારે બપોરે વિદ્યાર્થીનીઓએ માચાવેલા હોબળા સમયે કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા પણ સંકુલમા પહોંચ્યા હતા. સાથે જ કવાંટ પોલીસ પણ આ શાળા સંકુલમાં પહોંચી હતી. જેમની સમક્ષ વિદ્યાર્થીનીઓએ પોતાની વેદના ઠાલવી હતી અને આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોઝારીયા સંકુલમાં મોડેલ શાળા સહિત EMRS, GLRS મળી 6 અલગ અલગ શાળાઓ ચાલે છે. જેમાં નિવાસી શાળાઓમાં 2200 જેટલા વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે છે. 


વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, રોજ 200 થી 300 વિદ્યાર્થીનીઓને ભોજન જ નથી મળતું અને જેઓને ભોજન અપાય છે તે પણ પૂરતું આપવામાં આવતું નથી. પાતળી દાળ, કાચી-પાકી રોટલી અને કાચુપાકું શાક અને પાણીવાળો ભાત આમ ગુણવત્તા વિનાનું ભોજન આપવામાં આવે છે. તેઓ વારંવાર વોર્ડન અને આચાર્યને રજુઆત કરે છે. પરંતુ કોઈ ફેર પડતો નથી. મંગળવારે પણ અનેક વિદ્યાર્થીનીઓને ભોજન મળ્યું ન હતું અને બુધવારે પણ ભોજન ખૂટી જતા બબ્બે ટંકનું ભોજન ન મળતા વિદ્યાર્થીનીઓ ચોંધાર આંસુએ રડી પડી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ થાળીઓ વગાડી વિરોધ નોંધાવ્યો હતો.


આ પણ વાંચો : કલંકિત ઘટના, ગુજરાતમાં વધુ એક દીકરીની લાજ લૂંટાઈ, વાડીએ 18 દિવસ ગોંધી રાખીને સામુહિક બળાત્કાર કર્યો


તો બીજી તરફ ગેસ સગડીઓ બગડી જવાથી ભોજનમાં વિલંબ થયાનું સંચાલકોનું કહેવુ છે. ત્યારે ફરી એકવાર આદિજાતિ વિભાગ હેઠળ ચાલતી આવી મોડેલ શાળાઓમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની આશંકા સેવાઇ રહી છે.