ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, બધા ભગવાન અને દેવી-દેવતાઓમાં મહાદેવ સૌથી દયાળુ અને ભોળા છે. તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવ શંભુ તેમની પાસે આવનારા ભક્તોના તમામ દુખડા હરી લે છે. અને દરેકના મનની મનોકામના પુરી કરે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ એટલે શિવ શંકરની આરાધનાના મહિનો. આ મહિનામાં મહાદેવની આરાધનાનું વિશેષ મહાત્મય છે. જેને પગલે આજે વહેલી સવારથી જ ઠેર ઠેર શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ભોળાનાથના ભક્તોએ વહેલી સવારથી જ શિવ મંદિરોની બહાર ભીડ જમાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ દેવોના દેવ મહાદેવને રિઝવવા ભક્તિનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે મધ્ય ગુજરાત રાજ્યભરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં શ્રાવણ માસને પગલે અનુપમ શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ રણછોડદાસજી બાપુના આશ્રમે 9 કરોડ ઓમ નમઃશિવાય મંત્રજાપનું આયોજન, ગોંડલમાં આજે શિવ નગરયાત્રા,જામનગરમાં શિવ આરાધના માટે ડીજીટલ ટેકનોલોજીનો  ઉપયોગ  થશે. આ ઉપરાંત જુનાગઢમાં ભવનાથ મંદિર સહિત અનેક પ્રાચીન શિવમંદિરો, વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીમાં કુબેરનાથ સહિત શિવમંદિરો સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક ઐતહાસિક મહત્વ ધરાવતા દિવ્ય શિવમંદિરોએ આવતીકાલથી શિવભક્તિરસની ધારા વહેશે. 


સોમનાથ મંદિરમાં કેવી તૈયારીઓ છે?
સૌરાષ્ટ્રના જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ  મહાદેવ મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ શિવમંદિરોને રોશની,ધ્વજ-પતાકાથી શણગારવામાં આવ્યા છે.શુધ્ધ ભાવ અને પૂણ્યકર્મથી માત્ર જળ અને એકાદ બિલ્વપત્રથી પ્રસન્ન થતા ભગવાન મહાદેવનો કૃપાપ્રસાદ મેળવવા આવતીકાલથી એક માસ સુધી શિવલિંગ ઉપર લાખો બિલ્વપત્ર, ષોડષોપચાર પૂજન, દૂધ,મધ સહિત પવિત્ર દ્રવ્યોની ધારા કરશે.