મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં ગત ચોમાસામાં વરસાદ ઓછો થતાં તેની વ્યાપક અસર ઠેર ઠેર જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય પંથક બાદ હવે જામનગર શહેરમાં પણ પાણીના તમામ સ્ત્રોત ખૂટી જવાના કારણે માત્રને માત્ર નર્મદાના નીર પર આધારિત રહેવાનું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા પર નર્મદાના નીરનું ચોકવનારું રૂપિયા 153 કરોડનું અધધ લેણું સામે આવ્યું છે. આવા સમયે જો સરકાર દ્વારા મનપા સામે લેણાની કડક ઉઘરાણી કરવામા આવે અને નર્મદાનું પાણી આપવાનું બંધ થાય તો જામનગર શહેરમાં પાણીની કટોકટીના એંધાણ સરજાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદાના પાણીના કરોડો રુપિયાના મનપા પર લેણા બાબતે વિગતો આપતાં જામનગર મનપાના ચિફ એકાઉન્ટટ જીજ્ઞેશ નિર્મલે જણાવ્યું હતું કે, ગત વર્ષે ચોમાસાની અંદર પૂરતો વરસાદ જામનગર શહેરમાં થયેલ નથી. અને જામનગર શહેરને પાણી પુરુ પાડવા માટે જે સ્ત્રોત જામનગર મહાનગર પાલિકા પાસે છે. એની અંદર પણ પૂરતો પાણીનો જથ્થો નથી. જામનગર મહાનગરપાલિકાએ નર્મદામાંથી પાણી ઉપાડવું પડે છે અને આજની તારીખે પણ પાણીની અછતનાના કારણે જામનગર મહાનગરપાલિકા સંપૂર્ણપણે નર્મદાના પાણી ઉપર આધારિત છે.


અમદાવાદ: GTUએ 190 જેટલી કોલેજોને સુવિધાના અભાવે ફટકારી નોટીસ


નર્મદા પાણી ફ્રી ઓફ ચાર્જ આવતું નથી. જામનગર મહાનગરપાલિકાએ નર્મદા પાણી ચાર્જ સરકારને ચૂકવવા પડે છે. અને આ જે પાણી છે એ દર હજાર લિટરે 600 રૂપિયા અને જે કમિટેડ 20 mld ઉપર જો નર્મદાનું પાણી લેવામા આવે તો દર હજાર લિટરે 12 હજાર રુપિયા ચુકવવા પડે છે. આ નર્મદાનું પાણી જામનગર મહાનગર પાલિકા વર્ષ 2002થી મેળવે છે. અને અત્યાર સુધીની અંદર નર્મદા પાણી ચાર્જની રકમ વ્યાજ પેનલ્ટી અને ડિલે પેમેન્ટ ચાર્જીસ સહિત આજની તારીખે રૂપિયા 153 કરોડે પહોચી છે.


પંચમહાભૂતમાં વિલીન થયો સંત સદારામબાપુ બાપુનો પાર્થિવ દેહ, ઉમટ્યું માનવ મહેરામણ


નર્મદાના કરોડોના લેણાને લઈને મનપાના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, હાલ જામનગર શહેર સંપૂર્ણ પણે નર્મદાના પાણી પર આધારિત છે. અને ગત વખતે નર્મદાના પાણીનું લેણું રૂપિયા 144 કરોડ હતું જે આ વર્ષે વ્યાજ પેનલ્ટી સહિત વધીને હવે રૂપિયા 153 કરોડે પહોંચ્યું છે. અને જો રાજ્ય સરકાર કે, નર્મદા બોર્ડ નિગમ દ્વારા લેણા બાબતે નર્મદાનું પાણી બંધ કરવામાં આવે તો જામનગર શહેર પાણી વિહોણું બની જશે.



આથી પાણી પહેલા પાળ બાંધવા માટે કોઈ નક્કર કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર અને શાસકપક્ષે કરવી જોઈએ તેવું વિપક્ષના નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે વિપક્ષી નેતાએ માંગ કરતા જણાવ્યું હતું કે, લેણા બાબતે નર્મદાનું પાણી બંધ નહિ થાય એવું જામનગર શહેરની જનતાને મનપાએ બાંહેધરી આપવી જોઈએ.