ઝી મીડિયા/બ્યૂરો :હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી તેવી ફરિયાદો વ્યાપક બની ગઈ છે. દર્દીઓ ઓક્સિજન વળીને ટળવળીને મરી રહ્યાં છે. ત્યારે હવે શહેરોમાં પણ ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. પરિસ્થિતિ વિકટ બની રહી છે. 10 થી 15 ટકા દર્દીઓ ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામી રહ્યાં છે. દર્દીને કોરોના થયા બાદ સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજનની હોય છે, ત્યારે આ જ ઓક્સિજનનો જથ્થો હવે ખૂટી પડ્યો છે. 1100 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો જથ્થાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, છતા દર્દીઓ ઓક્સિજન વગર મરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં હાલ સુરતની પરિસ્થિતિ વધુ નાજુક બની રહી છે. સુરતમાં વધી રહેલા દર્દીઓની હાલત જોતા હવે ઓક્સિજન જામનગરથી મંગાવવાની નોબત આવી પડી છે. જામનગરથી 16 ટન ઓક્સિજન સુરત માટે મંગાવાયો છે. સુરતમાં રોજના 200 ટનથી વધુ ઓક્સિજનની જરૂર પડી રહી છે. 


સુરતમાં ઓક્સિજનની જરૂરિયાત બહુ જ વધી રહી છે. સુરતમાં ઓક્સિજનની જરૂરિયાતને જોતા ટેન્કર ચાલક ખાધાપીધા વગર 18 કલાકની મુસાફરી કરીને સુરત પહોંચ્યો હતો. ઓક્સિજનની જરૂરિયાત હોવાથી પોતે સેવા આપી રહ્યો છે. 


કોરોનામહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બનાસકાંઠાની જય ભારત ટ્રેડિંગ કંપનીમા ઓક્સિજનનો પુરવઠો પૂરો થઈ ગયો છે. આ કારણે પુરવઠા અધિકારી સહિત તંત્રની દોડધામ વધી ગઈ છે. બનાસકાંઠાની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ઓક્સિજનની અછતને લઈ દર્દીઓના મોત થઈ રહ્યા છે.



તો બનાસકાંઠાના ડીસામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા એક જ હોસ્પિટલમાં 5 ના મોત થયા છે. આઇસીયુમાં સવારથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. કોરોનાથી અને ઓક્સિજનની અછત સર્જાતા ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. ગઈકાલે પણ આજ હોસ્પિટલમાંથી 4 લોકોના નિપજ્યા મોત નિપજ્યા હતા. 


ઓક્સિજન ન હોવાને કારણે બનાસકાંઠા માટે અમદાવાદથી જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે તેવુ વહીવટી તંત્ર દ્વારા કહેવાઈ રહ્યુ છે. બે દિવસથી તબીબો તંત્રને લેખિતમાં સતત જાણ કરતા હતા, અનેકવાર રજૂઆત કરવા છતા પણ ઓક્સિજન અપાયુ નથી, જેથી આજે કેટલાક દર્દીઓ મોતને ભેટ્યા છે. 
 
ઓક્સિજનની માંગને જોતા રાજ્યમાં 11 જગ્યાએ મોટા ઓક્સિજનનો પ્લાન્ટ નાંખવામાં આવનાર છે. જોકે, આ સુવિધા ઉભી થતા પંદરેક દિવસ લાગશે. ત્યાં સુધી પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.