• ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે.

  • ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં કુલ 13 લોકોના મોત નિપજ્યા.

  • કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી.


ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટની શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડ (rajkot fire) માં આઈસીયુમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓના દર્દનાક મોત નિપજ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીએ સમગ્ર ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ દ્વારા તેઓએ કહ્યું કે, રાજકોટની એક હોસ્પિટલમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે તે દુખદાયક બાબત છે. જે પરિવારજનોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે દુખની લાગણી અનુભવાય છે. પ્રશાસન દ્વારા પીડિત લોકોને દરેક શક્ય મદદ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં આગ, 13 ના મોત  
ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ. સુરત ટ્રાયસ્ટાર હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. ત્યારે સરકાર દ્વારા એક પણ હોસ્પિટલમાં હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. માત્ર તપાસનો દોર યથાવત છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ ઓગસ્ટ મહિનામાં બન્યો હતો. 4 મહિના થયા હોવા છતા જવાબદાર લોકો સામે હજુ સુધી પગલાં લેવામાં  આવ્યા નથી. શ્રેય આગકાંડમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 નિર્દોષના જીવ હોમાયા હતા. જ્યારે પણ આગની મોટી ઘટના બને ત્યારે તંત્ર દ્વારા બે દિવસમાં હરકતમાં રહી કામગીરી કરવામાં આવે છે. પરંતું ત્યારબાદ તંત્ર પણ જૈસે થે વૈસેની સ્થિતિમાં આવી જાય છે. આગની ઘટનામાં નિર્દોષના જીવ હોમાય છે. પરંતુ સરકાર જવાબદાર લોકો સામે ક્યારે પગલાં ભરશે તે પણ એક સવાલ છે. ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે. 


રાજકોટ કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રોએ કહ્યું, સરકાર આવી હોસ્પિટલો બંધ કરાવે 


  • 6 ઓગસ્ટ - અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ

  • 25 ઓગસ્ટ - જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ

  • 8 સપ્ટેમ્બર - વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ 

  • 18 નવેમ્બર - સુરતની ટ્રાયસ્ટર હોસ્પિટલમાં આગ 

  • 26 નવેમ્બર - રાજકોટની શિવાનંદ હોસ્પિટલના આઈસીયુમાં આગ 


મુખ્યમંત્રીએ મૃતકો માટે સહાય જાહેર કરી  
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની  શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.


રાજકોટ અગ્નિકાંડમાં સુપરહીરો બન્યો હોસ્પિટલનો કર્મચારી અજય વાઘેલા 



આગ બાદ રાજકોટનું તંત્ર દોડતું થયું 
બીજી તરફ, આગ લાગ્યા બાદ રાજકોટનું તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં છેલ્લા બે મહિનામાં 200થી વધારે હોસ્પિટલોમાં અપૂરતા ફાયર સેફ્ટીના સાધનોને લઇને તપાસ હાથ ધરાઇ છે. 200 પૈકી 58 હોસ્પિટલોને નોટિસ અપાઇ છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 8 જેટલા બિલ્ડીંગમાં ફાયર સાધનો પૂરા કરવા નોટિસ અપાઈ છે. 


આગની ઘટના બાદ સ્થાનિકોમાં રોષ
રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ મહુડી રોડ વિસ્તારના સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો. રેસિડેન્સી એરિયામાં કોવિડ હોસ્પિટલ મામલે લોકોએ વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોએ આક્રોશ દર્શાવી હોસ્પિટલ બંધ કરવા માંગણી કરી છે. 


રાજકોટ આગમાં હોમાયેલા સંજય રાઠોડના પરિવારે કહ્યું, ‘4 કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી’