નવનીત દલવાડી/ભાવનગર: ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારે એવી સુવિધા ધરાવતી ભાવનગરી એક હોસ્પિટલમાં માત્ર ૧૦ રૂપિયામાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ પાસે 300 થી 500 રૂપિયા જેવી ફી વસૂલ કર્યા બાદ દવા પણ બહારના મેડિકલમાંથી લેવા લખી આપતા હોય છે, ત્યારે અહી હોસ્પિટલ આવતા દર્દીઓની તપાસ કર્યા બાદ ડોકટર દ્વારા બે દિવસની દવા પણ મફત આપવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા ચાલતા આ સેવા યજ્ઞનો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બાજુ તબીબી સારવાર મોંઘીદાટ થઈ રહી છે, ઈન્જેકશન આપવા, સ્યુગર ચેક કરવા, કે અન્ય ચેકઅપ માટે મોટી તગડી ફી વસુલ કરી રહ્યા છે, તેવા સમયે અનેક એવી સંસ્થાઓ છે, જે માત્ર દર્દીઓ ને દેવરૂપ માની વિનામૂલ્યે અથવા માત્ર ટોકન દર લઈને સારવાર આપી રહ્યા છે. 


એવી જ એક હોસ્પિટલ ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી પીએનઆર સોસાયટી દ્વારા ચલાવવામાં આવી રહી છે. જ્યાં આવતા દર્દીઓ પાસેથી માત્ર ૧૦ રૂપિયામાં બે દિવસની દવા આપી સારવાર આપવામાં આવે છે. ૮૫ વર્ષની ઉંમર ધરાવતા એમબીબીએસ ડોકટર દ્વારા આપવામાં આવેલી દવા દર્દીઓને માફક આવી રહી છે, જેના કારણે તેઓ જલ્દી સાજા થઈ રહ્યા છે. હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ સેવાયજ્ઞનો મોટી સંખ્યામાં દર્દીઓ લાભ મેળવી સ્વસ્થ થઈ રહ્યા છે. 


ભાવનગરની પીએનઆર સોસાયટી દ્વારા અંધ ઉદ્યોગ શાળા, બહેરામુંગા શાળા અને મંદબુદ્ધિ શાળા ચલાવવામાં આવી રહી છે, દિવ્યાંગ લોકો માટે હાથ અને પગમાં ફીટ કરી શકાય અને તેના દ્વારા ચાલવામાં કે ઉઠબેઠ અને કામકાજ માં મદદ મળી રહે એ પ્રકારના સાધનો સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે અને તેને ખૂબ ઓછા ખર્ચે કે ટોકન દરે હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવે છે જેથી દર્દીઓ તેનો લાભ લઈ શકે, ઉપરાંત પીએનઆર કેમ્પસમાં સામાન્ય અને મધ્યમ વર્ગીય દર્દીઓ ખાનગી હોસ્પિટલ જેવી જ સારવાર મેળવી શકે એ માટે સંસ્થા દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, જ્યાં સામાન્ય દર્દથી માંડી અનેક પ્રકારના ગંભીર ઓપરેશનની પણ સારવાર ટોકન દરે કરવામાં આવે છે. 


હોસ્પિટલમાં ચાલતી ઓપીડીમાં માત્ર 10 રૂપિયામાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે, પોતાનું ખાનગી દવાખાનું ખોલી રૂપિયા કમાવાને બદલે 85 વર્ષના અનુભવી એમબીબીએસ ડો. જયંતીભાઈ ધંધુકિયા અહીં ખાસ દર્દીઓ માટે સેવા આપી રહ્યા છે. પીએનઆર સોસાયટીના ટ્રસ્ટી પારસભાઇ એ જણાવ્યું હતું કે સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ છે.