ચેતન પટેલ/સુરત :શહેના ઉધના રેલવે યાર્ડમાં સગર્ભા મહિલાના હત્યા પ્રકરણમાં ગણતરીના દિવસોમાં જ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને તેની મામી સાથે આડા સબંધ હતા. ગામમાં બંનેના પ્રેમસંબંધોની જાણ થઈ જતા તેઓ બંને સંજાણ રહેવા આવી ગયા હતા. જોકે બાદમાં મામીએ તેના વતન મામાના ઘરે જવાનો ઈન્કાર કરતા તથા અવારનવાર ઝગડો થતા ભાણેજે તેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 મી માર્ચના રોજ ઉધના યાર્ડમાંથી એક પ્રેગ્નેટ મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસને આ આત્મહત્યા હોય તેવું લાગ્યુ હતું. જો કે બાદમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવતા તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ માટે આ કેસ ચેલેન્જિંગ હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં 19 મી માર્ચના રોજ મૃતક મહિલા એક યુવાન અને એક નાની બાળકી સાથે ટ્રેક પર જતા નજરે પડી હતી. જેથી પોલીસે યુવાનની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બાળકી સુરત રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવી હતી. જેથી રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર લાગેલા તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. 


આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલ્યો ઘરનો મહત્વનો ‘રાઝ’


સીસીટીવીની ચકાસણી કરતા આ યુવાન તાપ્તી ગંગા ટ્રેનમાં બેસી જતો ફૂટેજમાં દેખાયો હતો. ફૂટેજ અને મોબાઈલના આધારે પોલીસે યુવાનનો નંબર કઢાવ્યો હતો. બાદમાં નંબરના આધારે પોલીસની ટીમે બિહારથી યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેને પોતાનું નામ લાલુ ઉર્ફે લલ્લુ ભીંડ જણાવ્યું હતું. મૃતક મહિલા રીટા ચૌધરી આરોપી લાલુના સંબંધમાં મામી થતી હતી. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. જોકે આ પ્રેમ સંબંધની ગામ અને તેમના પરિવારને જાણ થઈ હતી. વાત પંચાયત સુધી પહોંચી હતી. પંચાયતમાં રીટાએ તેના પતિ સાથે જવાની ના પાડી હતી. જેથી લાલુ રીટાને લઈને સંજાણ આવ્યો હતો. રીટા પોતાના 4 સંતાનો પૈકી 3 સંતાનો વતન મૂકી એક બે વર્ષની દીકરીને લઈને લાલુ સાથે સંજાણ આવી ગઈ હતી. જ્યાં લાલુ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતો હતો. 


આ પણ વાંચો : ‘ક્રાઈમ કેપિટલ’નું ટાઈટલ હટાવવા સુરત પોલીસે કમર કસી, લોન્ચ કર્યો ગામદૂત પ્રોજેક્ટ


લાલુ અને મામી રીટા વચ્ચે શારીરિક સબંધ બધાતા રીટાને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. બાદમાં બંને વચ્ચે અવારનવાર મામીને વતન તેમના પતિ પાસે મોકલવા અંગે ઝગડો ચાલતો હતો. રોજે રોજના ઝગડાથી કંટાળી જઇ લાલુએ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. લાલુ રીટાને મેમુ ટ્રેનમાં વલસાડથી ઉધના રેલવે સ્ટેશન લઈ આવ્યો હતો. જ્યાં રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં બે દિવસ સુધી ફર્યા હતા. બાદમાં ફરી ઉધના રેલવે સ્ટેશન પર બંને વચ્ચે કોઈને કોઈ વાતને લઈ ઝગડો થયો હતો. જેથી કંટાળી જઇ આખરે લાલુ રીટાને લઈ ઉધના યાર્ડમાં લઇ ગયો હતો અને ત્યાં જ ગળું દબાવી તેની કરપીણ હત્યા કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો રેલવે પોલીસે આરોપી લાલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેવુ રેલવે ડીવાયએસપી બીએ ચૌધરીએ જણાવ્યું.