કિરણસિંહ ગોહિલ, સુરત: સુરતના યોગીચોક ખાતે રહેતા અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે ગઈકાલે સાંજે કામરેજ નજીક તાપી નદીમાં ઝંપલાવી પોતાની જીવન લીલા સકેલી લીધી હતી. જોકે પાટીદાર આગેવાને ક્યાં કારણસર આપઘાત કર્યો એ તો પોલીસ તપાસ કરી રહી છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કઠોર સરકારી હોસ્પીટલમાં પી.એમ રૂમમાં પડેલો આ મૃતદેહ પાટીદાર આગેવાન અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો છે. જયસુખભાઈ ગઈકાલે સાંજે પોતાની ઓફિસથી ઘરે જવાના બદલે બાઈક લઇ કામરેજ આવ્યા હતા અને કામરેજ નજીક નેશનલ હાઇવે ૪૮ પર પોતાની બાઈક બ્રીજ પર મૂકી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું.


જોકે જયસુખ ભાઈ મોડી રાત્રે ઘરે નહી પહોંચ્યા પરિવારે તેમના મોબાઈલ પર ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. મૃતક જયસુખભાઈના મોબાઈલને ટ્રેસ કરતા છેલ્લું લોકેશન કામરેજ મળતા ત્યાં તપાસ દરમ્યાન તાપી નદીના બ્રીજ પાસે તેમની બાઈક અને ચંપલ મળી આવતા તાપી નદીમાં કામરેજ ફાયરની ટીમે શોધખોળ ચલાવી હતી.


સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવતા પરિવારના સભ્યો અને મિત્રો આઘાતમાં સરી પડ્યા હતા. કેમકે મૃતક જયસુખભાઈની છાપ સજ્જન માણસ અને બધા સાથે મળતા રહેતા અને રત્નકલાકારો માટે હમેશા લડત લડતા હતા. પરંતુ આજે જયારે તેમનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પાટીદાર આગેવાનના મોતના સમાચાર બાદ પાસના અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિવારને આશ્વાશન આપતા નજરે પડ્યા હતા.


સુરતમાં વધુ એક પાટીદાર આગેવાનની આત્મહત્યા ના પગલે ચકચાર મચી ગઈ છે. દુર્લભ પટેલની આપઘાતને હજી એક સપ્તાહ પણ થયો નથી ત્યાં વધુ એક પાટીદાર આગેવાને તાપી નદીમાં કુદી આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. જોકે પોલીસના પ્રાથમિક તપાસમાં જયસુખભાઈ ગજેરાએ આર્થિક સંકળામણ ના કારણે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે હાલતો વધુ તપાસ કામરેજ પી.આઈ કરી રહ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube