ક્યારેક ક્યારેક આપણને ભીડભાડથી દૂર શહેરની ઝાકમઝોળથી દૂર શાંત  અને રમણિય જગ્યા અને પ્રકૃતિની નજીક રહેવાની ઈચ્છા થતી હોય છે. જો તમે પણ આ રીતે વિચારતા હોવ તો અમદાવાદથી નજીક એક સુંદર જગ્યા છે જે તમને આવી શાંતિ અને પ્રકૃતિના સૌંદર્યને માણવાની મજા આપશે. ચોમાસામાં તો તમને આ જગ્યાએ જવું ખુબ ગમશે. ગુજરાતીઓ...તો વિચારો છો શું ફટાફટ આ જગ્યા વિશે જાણો અને એક દિવસની પિકનિક માટે બનાવી શકો છો પ્રોગ્રામ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનડે પિકનિક માટે બેસ્ટ છે આ જગ્યા
અહીં અમે જે પિકનિક સ્પોટની વાત કરીએ છીએ તે છે અમદાવાદથી આશરે 77 કિમી દૂર આવેલા ઝાંઝરી વોટરફોલની. આ એક એવી જગ્યા છે જ્યાં વરસાદની ઋતુમાં સૌંદર્ય વધુ ખીલી ઉઠે છે. સાહસ પ્રેમીઓ માટે આ જગ્યા તમને ટ્રેકિંગ અને ફરવાનો અનોખો સંગમ કરાવશે. ઝાંઝરી ધોધ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાબા ગામ નજીક વાત્રક નદી કિનારે આવેલું એક ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. બાયડથી આશરે 12 કિમી દૂર બાયડ-દહેગામ રોડથી દક્ષિણ બાજુએ અંદાજે 7 કિમી દૂર આ રમણીય સ્થળ આવેલું છે. 



આ ધોધ વિશે કહીએ તો આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ પ્રવાસીઓ માટે ખુબ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત  ધાર્મિક મહત્વ જોઈએ તો અહીં ગંગામાતાનું મંદિર પણ આવેલું છે. જ્યાં ભૂતકાળમાં 24 કલાક ઝરણા દ્વારા શિવજીનો અભિષેક થતો હતો. 


આ ધોધની મજા માણવા માટે અમદાવાદ અને નજીકના સ્થળોથી પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે. વનડે અને વિકએન્ડ પિકનિક માટે પર્યટકોનું માનીતું સ્થળ છે. ધોધની નીચાણવાળા ભાગમાં પથ્થરોની અંદર પાણી ભરાયેલા રહેતા હોય છે. 



કેવી રીતે જવાય
દૂરથી આવતા લોકોએ જો વિમાન દ્વારા જવું હોય તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. જે 100 કિમી દૂર છે. જ્યારે ટ્રેન દ્વારા આવવું હોય તો નડિયાદ ઉતરવું પડે અને નડિયાદથી મોડાસા વચ્ચે રોજ લોકલ ટ્રેનો દોડતી હોય છે. બસ દ્વારા આવવું હોય તો નજીકનું બસ સ્ટેશન બાયડ છે. જે દેશના મુખ્ય શહેરો સાથે રોડ માર્ગે જોડાયેલું છે. 



સાયકલિંગ અને ઊંટ સવારીની મજા
અહીં સાઈકલિંગ કરવાની એક અલગ જ મજા છે. આ ઉપરાંત તમે ઊંટની સવારી પણ કરી શકો છો. ગરમીથી બચવા માટે અહીં ફરવા માટે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય સારો મનાય છે. 



ઝાંઝરી ધોધ વિશે થોડું જાણો
ઝાંઝરી વાત્રક નદીથી વહેતું તીવ્ર ધારાઓની એક ઋૃંખલા છે. જેનો મુખ્ય જળ પ્રવાહ 25 ફૂટ ઊંચો છે. ઝાંઝરી ધોધ કોઈ બારેમાસ પડતો ધોધ નથી. પરંતુ ચોમાસા દરમિયાન નદીના પથરાળ વિસ્તારોમાંથી વહેતું પાણી છે. ફોટોગ્રાફીના શોખીનોને આ જગ્યા ખુબ પસંદ પડશે. 



શું ધ્યાન રાખવું
પર્યટકોને ધોધ નીચે ન્હાવાની મજા આવતી હોય છે. વિસ્તારથી જાણીતા લોકોને માહિતી હોય છે પરંતુ જે અજાણ હોય છે તેવા લોકો ભોગીયો ધરા તરફ ખેંચાય છે અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાના બનાવો ભૂતકાળમાં જોવા મળેલા છે. જો કે, ગભરાવવાની જરૂર નથી કારણ કે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ભોગીયા ધરામાં ન્હાવા જવું નહીં તેવી લેખિતમાં સૂચના દર્શાવવામાં આવી છે. જો કે આમ છતાં આ જગ્યાનો લ્હાવો ચોમાસામાં લેવો એ એક અદભૂત અનુભવ બની રહેશે. 


(ઈનપુટ- અરવલ્લી, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર)