નવી દિલ્હી : ઓફિસ ઓફ પ્રોફિટ મામલામાં દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી (AAP)ના 20 ધારાસભ્યોના ભાગ્ય વિશે આજે નિર્ણય આવી ગયો છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ચૂંટણી પંચે આ મામલામાં દિલ્હીના સત્તાધારી પક્ષના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા છે. ચૂંટણીપંચના આ નિર્ણયને કારણે કેજરીવાલ સરકારને ભારે આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે નિર્ણય લીધા બાદ ચૂંટણી પંચ એને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દીધો છે. આ ધારાસભ્યોને જ્યારથી સંસદીય સચિવ બનાવવામાં આવ્યા હતા ત્યારથી જ તેમનું સભ્યપદ ખતરામાં પડી ગયું હતું. હકીકતમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જ્યોતિ 22 જાન્યુઆરીએ નિવૃત થઈ રહ્યા છે અને એ પહેલાં તેઓ તમામ પેન્ડિંગ કેસનો ઉકેલ લાવવામાં માગે છે. આ કારણોસર હાલમાં ચૂંટણી પંચ ખાતે ઝપાટાબંધ કામ ચાલી રહ્યું છે. જોકે સત્તાધારી AAP આ સમગ્ર મામલામાં પોતાનો બચાવ કરતા કહે છે કે ચૂંટણીપંચ આ વિશે નિર્ણય ન લઈ શકે અને એનો ફેંસલો કોર્ટમાં થવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર વિવાદ ?
AAPની દિલ્હી સરકારે માર્ચ, 2015માં 21 ધારાસભ્યોની સંસદીય સચિવના પદ પર નિયુક્તિ કરી હતી. આને ઓફિસ ઓફ પ્રોફિટ ગણાવીને પ્રશાંત પટેલ નામના વકીલે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી તેમજ આ તમામ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ડિમાન્ડ કરી હતી. જોકે ધારાસભ્ય જનરૈલ સિંહે ગયા વર્ષે વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી દેતા આ મામલામાં ફસાયેલા ધારાસભ્યોની સંખ્યા 20 થઈ ગઈ છે. 


કેન્દ્ર દ્વારા કરાયો હતો વિરોધ
કેન્દ્ર સરકારે ધારાસભ્યોને સંસદીય સભ્ય બનાવવાના નિર્ણયનો વિરોધ કરીને દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દિલ્હીમાં એક જ સંસદીય સચિવ હોઈ શકે છે જે મુખ્યમંત્રી પાસે હશે. આ ધારાસભ્યોને પદ આપવાની કોઈ બંધારણીય જોગવાઈ નથી. બંધારણની  કલમ 102(1)(A) અને 191(1)(A) પ્રમાણે સંસદ કે વિધાનસભાનો કોઈ સભ્ય જો લાભ આપતા બીજા કોઈ પદ હોય તો એનું સભ્યપદ રદ થઈ શકે છે. આ ઓફિસ ઓફ પ્રોફિટ કેન્દ્ર કે રાજ્યની કોઈપણ સરકાર પર લાગુ પડી શકે છે.


આ ધારાસભ્યો અયોગ્ય જાહેર થયા


- શરદ કુમાર (નરેલા વિધાનસભા)
- સોમદત્ત (સદર બજાર)
- આદર્શ શાસ્ત્રી (દ્વારકા)
- અવતાર સિંહ (કાલકાજી)
- નિતિન ત્યાગી (લક્ષ્મી)
- અનિલ કુમાર વાજપેયી (ગાંધી નગર)
- મદન લાલ (કસ્તુરબા નગર)
-વિજેન્દ્ર ગર્ગ વિજય (રાજેન્દ્ર નગર)
- શિવચરણ ગોયલ (મોતી નગર)
- સંજીવ ઝા (બુરાડી)
- કૈલાશ ગહલોત ( નજફગઢ)
- સરિતા સિંહ (રોહતાશ નગર)
- અલકા લાંબા (ચાંદની ચોક)
- નરેશ યાદવ (મહરોલી)
-મનોજ કુમાર (કૌંડલી)
- રાજેશ ગુપ્તા (વજીરપુર)
- રાજેશ રૂષી (જનકપુરી)
- સુખબીર સિંહ દલાલ (મુંડકા)
- જરનૈલ સિંહ ( તિલકનગર)
- પ્રવીણ કુમાર (જંગપુરા )