હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં 24 જૂનથી શરૂ થયેલી ચોમાસાની સિઝનને કારણે રાજ્ય છેલ્લા 51 દિવસથી ખરાબ રીતે પ્રભાવિત છે. આ દરમિયાન રાજ્ય ભારે વરસાદ સાથે ભૂસ્ખલન અને પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે, લોકો બેઘર થઈ ગયા છે, વાહનો કાગળની જેમ વહી ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે, પ્રવાસીઓ ફસાયા છે, આ દુર્ઘટનાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યને આર્થિક નુકસાન પણ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં 50થી વધુ લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 20 લોકો હજુ ફસાયેલા છે. અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે 14 લોકોના મૃત્યુ શિમલામાં થયેલા ભૂસ્ખલનના કારણે થયા. ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા અને ઘર પડી ગયા. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 50થી વધુ લોકોના જીવ ગયા છે. 20થી વધુ લોકો હજુ ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અહેવાલો અનુસાર, આકાશી આફતના કારણે રાજ્યને અત્યાર સુધીમાં 10 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.



છેલ્લા 75 વર્ષમાં રાજ્યમાં આ સૌથી મોટી તબાહી છે. હિમાચલમાં 720 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, 7 હજાર 161 મકાનોને નજીવું નુકસાન થયું છે, જ્યારે 241 દુકાનો પૂરમાં ધોવાઈ ગયા છે. સાથે જ અનેક નેતાઓ અને મંત્રીઓ રાજ્યમાં આવેલી આપત્તિને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.


સૌથી વધુ મોત કુલ્લુ-શિમલામાં થયા છે
મળતી માહિતી મુજબ રાજધાની શિમલા અને કુલ્લુમાં સૌથી વધુ મોત થયા છે. થિયોગમાં ભૂસ્ખલન બાદ બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે સિરમૌરમાં કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.


વિનાશ કેમ થઈ રહ્યો છે?
પ્રકૃતિ સાથે છેડછાડ આ કુદરતી આફતનું પરિણામ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે "આ બધું અયોગ્ય ડ્રેનેજ સિસ્ટમના કારણે થઈ રહ્યું છે."


"ફોરલેન અને હાઈવેના નિર્માણ ઉપરાંત રોડ અને ટનલ બનાવવા માટે લીલા વૃક્ષો કાપવામાં આવે છે, પરંતુ નવા વૃક્ષો વાવવામાં આવતા નથી. આવી સ્થિતિમાં વૃક્ષોના અભાવે જમીનનું ધોવાણ વધુ થાય છે. આ ઉપરાંત , ડ્રેનેજ પણ વ્યવસ્થા ન હોવાના કારણે તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને લીકેજને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે.