હું ટ્વિટરનો પુત્ર, તમે મને રિટ્વિટ નહીં કરો તો હું ક્યાં જઈશ: લાલુ
આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ સોશિયલ મીડિયા પર પોતાના અંદાજમાં ટિપ્પણી કરવા માટે પ્રખ્યાત છે. આ જ મુદ્દે તેમણે એકદમ અલગ અંદાજમાં આજે સવારે ટ્વિટ કરતા કહ્યું કે હું ટ્વિટરનો પુત્ર છું, તમે મને રિટ્વિટ નહીં કરો તો હું ક્યાં જઈશ. તેમના આ ટ્વિટનો અર્થ શરૂઆતમાં તો લોકોને ખબર ન પડી પરંતુ ત્યારબાદ લોકોએ થોડીવાર પછી તેના પર પોતાના તર્ક વિતર્કથી મજા લેવાની શરૂ કરી દીધી. જો કે ત્યારપછી થોડીવાર બાદ લાલુ પ્રસાદે અન્ય એક ટ્વિટમાં ભાજપ પર પરોક્ષ રીતે નિશાન સાંધીને કહ્યું કે કમળનું ફૂલ, ઓલ્વેઝ બનાવિંગ એપ્રિલ ફૂલ. રહેના કૂલ ન કરના ભૂલ, ચટાના ધૂલ. જેના પરથી અંદાજો લગાવવામાં આવ્યો કે તેમાં ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પર હુમલો કરવામાં આવ્યો છે.
આ જ રીતે મંગળવારે લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં સી પ્લેન દ્વારા મુસાફરી કરવાને લઈને ઈશારામાં કટાક્ષ કરતા કહ્યું કે મોદીજીને હવે જમીન ગુમાવવાનો અહેસાસ થઈ ગયો છે. આ જ ક્રમમાં લાલુએ ગુજરાતના મતદાતાઓને સમજી વિચારીને મતદાન કરવાની અપીલ કરી હતી. આરજેડી પ્રમુખ લાલુએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે જમીન ન રહત તો પાણી અને આકાશ જ બચત ને!
અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાત ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ગુજરાતમાં સાબરમતી નદીથી મહેસાણા જિલ્લાના ધરોઈ સુધી સી પ્લેન દ્વારા ઉડાણ ભરી હતી. લાલુને ભલે કોંગ્રેસ દ્વારા ગુજરાત ચૂંટણી પ્રચારમાં બોલાવવામાં ન આવ્યાં હોય પરંતુ તેમણે ટ્વિટ દ્વારા ગુજરાતના મતદાતાઓને સમજી વિચારીને મતદાન કરવાની અપીલ કરી છે.
લાલુએ એક ટ્વિટમાં ગુજરાતના મતદાતાઓને અપીલ કરતા કહ્યું કે જીએસટી, નોટબંધી, કાળું નાણું, વિકાસ, આદર્શ ગામ, સ્માર્ટ સીટી, બુલેટ ટ્રેન, સ્વાસ્થ્ય, શિક્ષા, ખેડૂતો પર વાત કેમ કરી રહ્યાં નથી? સમજો, વિચારો અને ફેસલો કરો. ધન્યવાદ. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચાર મામલે ઘેરાયેલા લાલુ હાલ સોશિયલ મીડિયા દ્વારા સતત કેન્દ્ર અને બિહાર સરકાર પર નિશાન સાધી રહ્યાં છે.